‘શ્રીલંકન સુંદરી’ જેક્લીન ફર્નાન્ડિઝે મુંબઈમાં નવું આલિશાન ઘર ખરીદ્યું

મુંબઈઃ મૂળ શ્રીલંકાની અને બોલીવુડની અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝે મુંબઈમાં એક નવો આલિશાન ફ્લેટ ખરીદ્યો છે. તેનો વિડિયો અને ફોટા ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે. જેક્લીને આ ફ્લેટ બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં જ્યાં ધનવાન લોકો મોટી સંખ્યામાં રહે છે તે પાલી હિલ વિસ્તારમાં ખરીદ્યો છે. સલમાન ખાન, સૈફ અલી ખાન-કરીના કપૂર, રણબીર કપૂર-આલિયા ભટ્ટ જેવી અનેક બોલીવુડ હસ્તીઓ આ જ વિસ્તારમાં રહે છે.

જેક્લીન આ પહેલાં વિલે પારલે (વેસ્ટ)ના જુહૂ વિસ્તારમાં રહેતી હતી. તે ફ્લેટમાં એની પહેલાં અન્ય બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા રહેતી હતી. એ જ ફ્લેટ ખરીદીને જેક્લીન ત્યાં રહેતી હતી. પાપારાઝી વિરલ ભાયાણીએ જેક્લીનનાં નવા ફ્લેટની બહારનો એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. બિલ્ડિંગનું નામ છે – ‘અશર નવરોઝ’. 17-માળના આ ટાવરમાં સ્વીટ્સ, પેન્ટહાઉસ, સ્કાઈ વિલા, મેન્શનનો સમાવેશ થાય છે. દરેક ફ્લેટ 2,600 સ્ક્વેર ફૂટથી વધારે એરિયાના છે. બિલ્ડિંગની અંદર વિશાળ સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ અને સુંદર લાઉન્જ પણ છે.

છે. આ રહેણાક બિલ્ડિંગ સંકુલમાં સૌથી સસ્તા ફ્લેટની કિંમત 12 કરોડ રૂપિયા છે. જેક્લીને ફ્લેટ કેટલી કિંમતે ખરીદ્યો છે તે હજી જાણવા મળ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, રૂ. 200 કરોડના મની લોન્ડ્રિંગ પ્રકરણમાં સંડોવાયેલા ઉદ્યોગપતિ અને ઠગ તરીકે કુખ્યાત સુકેશ ચંદ્રશેખર સાથે જેક્લીનનું નામ જોડાયું છે. બંનેની તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના અધિકારીઓએ આ પ્રકરણના સંબંધમાં જેક્લીનની પૂછપરછ પણ કરી છે. ઈડીનો દાવો છે કે સુકેશે શ્રીલંકામાં જેક્લીન માટે એક આલિશાન ઘર ખરીદ્યું છે.