‘બજરંગી ભાઈજાન 2’ની તૈયારીઃ સલમાનને વાર્તા ગમી

મુંબઈઃ બોલીવુડનો ‘દબંગ’ અભિનેતા સલમાન ખાન તેણે જ બનાવેલી ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ની સીક્વલમાં પણ કદાચ જોવા મળશે. કબીર ખાન દિગ્દર્શિત ‘બજરંગી ભાઈજાન’ રિલીઝ થયાને છ વર્ષ વીતી ગયા છે. એમાં સલમાન ખાન, કરીના કપૂર, હર્ષાલી મલ્હોત્રા અને નવાઝુદ્દીન સિદ્દીકીની મુખ્ય ભૂમિકાઓ હતી. એ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.

હવે આ જ ફિલ્મની સીક્વલ બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું કહેવાય છે. ‘બજરંગી ભાઈજાન’ના પટકથાલેખક કે.વી. વિજયેન્દ્ર પ્રસાદે સીક્વલ ‘બજરંગી ભાઈજાન 2’ માટેની વાર્તા લખી છે. એમણે એ વિશે સલમાન ખાન સાથે વાતચીત કરી છે. સલમાનને એમનો આઈડિયા ગમ્યો છે. એની પર કામ ચાલુ કરાવ્યું છે.