લખનૌઃ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પર તીવ્ર પ્રહાર કરતાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે આરોપ મૂક્યો હતો કે જેમણે દાયકાઓ સુધી દેશનાં સંસાધનો લૂંટ્યા અને ગરીબો તથા યુવાનોને ભૂખ અને સ્થળાંતર તરફ ધકેલ્યા, તેઓ હવે ગ્રામીણ ભારતને મજબૂત બનાવવાના હેતુથી કરવામાં આવેલા પારદર્શક સુધારાઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
લખનૌમાં NDA સરકારની પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રેસ કોન્ફરન્સ નવા અમલમાં આવેલા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) (VBG રામ જી) અધિનિયમ, 2025ને સમજાવવા માટે બોલાવવામાં આવી છે, જે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)ની જગ્યાએ લાવવામાં આવ્યો છે.આ કાર્યક્રમમાં ઉપ મુખ્ય મંત્રી બ્રજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય, તેમ જ નિષાદ પાર્ટી, અને આપના દળ (એસ) સહિત એનડીએના સહયોગી પક્ષોના મંત્રીઓ હાજર રહ્યા હતા.તેમણે આ કાયદાને ગામ કેન્દ્રિત વિકાસ માટેનું માઈલસ્ટોન ગણાવ્યું અને કહ્યું હતું કે VBG રામ જી કાયદો પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને આગળ વધારવા માટે લાવવામાં આવ્યો છે. તે રોજગારની ગેરંટી આપશે, આજીવિકા સુનિશ્ચિત કરશે અને ગ્રામીણ વિસ્તારોમાં ટકાઉ ઢાંચો ઊભો કરશે.
VIDEO | Uttar Pradesh CM Yogi Adityanath (@myogiadityanath) addresses a press conference on VB-G RAM G Act. He said, “This new act was important because the MGNREGA, which is being discussed by Congress and its allied parties, had many loopholes. We should also discuss those… pic.twitter.com/sBrxm6Fdt6
— Press Trust of India (@PTI_News) January 6, 2026
મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે કાયદાનો વિરોધ કરનારાઓને ડર છે કે આવા પારદર્શક સુધારાઓને સમર્થન મળવાથી તેમની ભૂતકાળની નિષ્ફળતાઓ બહાર આવી જશે. તેમણે કહ્યું હતું કે જો જનતા પૂછવા લાગે કે તેઓ સત્તામાં હતા ત્યારે આ પગલાં કેમ ન લીધાં તો તેમની હકીકત સામે આવી જશે.
આદિત્યનાથે આરોપ મૂક્યો હતો કે મનરેગા ટકાઉ સંપત્તિ ઊભી કરવામાં નિષ્ફળ રહ્યું છે અને તેમાં નકલી જોબ કાર્ડ, નકલી હાજરી, મજૂરી ચુકવણીમાં વિલંબ, નબળી સોશિયલ ઓડિટ અને વ્યાપક ભ્રષ્ટાચાર જોવા મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે કામદારોને ઘણી વાર સમયસર રોજગાર અને ચુકવણી મળતી નહોતી, જ્યારે ખેડૂતોએ વાવણી અને કાપણીના મોસમમાં મજૂરોની ગંભીર અછતનો સામનો કરવો પડતો હતો.
નવા કાયદાની મુખ્ય જોગવાઈઓ વિશે વાત કરતાં આદિત્યનાથે જણાવ્યું કે રોજગાર ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે, જેમાં કામદારોને સાપ્તાહિક ચુકવણી અને વિલંબ થાય તો ફરજિયાત વળતરનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે જો માગ છતાં કામ ન મળે, તો હવે બેરોજગારી ભથ્થું કાનૂની અધિકાર બનશે.


