વાવ પેટા ચૂંટણી: કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને આપી ટિકિટ

ગાંધીનગર: વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ફોર્મ ભરશે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સોમવારે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયામાં AICC સેક્રેટરી સુભાષિની યાદવ, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે દાવેદારોની સેન્સ લીધી હતી. જેમાં 8 દાવેદારોએ ટિકિટ માટે દાવેદારી કરી હતી. જેમાં આજે કોંગ્રેસ પક્ષે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંબ રાજપૂતના નામ પર મહોર મારી છે.

બનાસકાંઠા વિધાનસભાની પેટા ચૂંટણીને પગલે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જન આશીર્વાદ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોર, નાથાભાઈ પટેલ કાંતિભાઈ ખરાડી, દિનેશ ગઢવી, રઘુ દેસાઈ, રાજુભાઈ જોશી સહિતનાઓ સભા સ્થળે ઉપસ્થિત રહ્યા છે. સભા બાદ ગુલાબસિંહ રાજપૂત ફોર્મ ભરશે.ગુલાબ સિંહે ટિકિટ મળ્યા બાદ જણાવ્યું કે, “કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ મને ચૂંટણી લડવાની તક આપી છે એ બદલ હું તેઓનો આભાર માનું છું. કાર્યકરોને સાથે લઈ આ વિધાનસભાની ચૂંટણી અમે ત્રીજી વખત જીતશું. સ્થાનિક પ્રશ્નો છે જેવા કે રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય સહિતના મુદ્દા પર અમે ચૂંટણી લડીશું.”