CMની અધ્યક્ષતામાં રથયાત્રાની સુરક્ષા-વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજાઈ

ગાંધીનગર: બુધવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં 147મી રથયાત્રાની સુરક્ષા-વ્યવસ્થા અંગેની સમીક્ષા કરવામાં આવી. શાંતિ-સલામતી સાથે રથયાત્રા સફળતાપૂર્વક પાર પાડવા માટેની પોલીસ તંત્રની સજ્જતા અંગે આ બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરાઈ. બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાકેશ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય સહિત અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને વરિષ્ઠ અધિકારીઓઆ જોડાયા હતા.મુખ્યમંત્રીએ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ યોજાતી રથયાત્રા અંગેની પણ માહિતી મેળવી હતી. રથયાત્રા એ જન ઉમંગ અને ઉલ્લાસનું ધર્મપર્વ છે તે સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ભગવાનના દર્શન માટે લોકો જૂના, જર્જરિત મકાનો કે ભયજનક ઇમારતોનો સહારો ન લે તે માટે પોલીસ અને સ્થાનિક પાલિકા તંત્ર સતર્ક રહે તે આવશ્યક છે. તેમણે આવા પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોને જાનમાલની સલામતીના કારણોસર ત્યાં જતા અટકાવવા ખાસ તાકીદ કરી.આ બેઠકમાં રથયાત્રાના ૧૬ કિલોમીટર લાંબા રૂટ પરના કાયદો-વ્યવસ્થા તેમજ રથયાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને ૧૮,૭૦૦થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે. રથયાત્રામાં જોડાનારા રથો,  ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતશ્રીઓની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં ૪૫૦૦ જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે. ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં ૧૯૩૧ જવાનો તૈનાત રહેશે. એટલું જ નહિં, ૧૬ જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી કોઈ અફવા કે ખોટા-ગેરમાર્ગે દોરતા સમાચારો, વિગતો ક્યાંય પ્રસિદ્ધ થાય તો તેની સામે ત્વરાએ સત્ય હકીકતથી લોકોને વાકેફ કરવા પર પોલીસ તંત્ર વિશેષ ધ્યાન આપે તેવું સૂચન કર્યું.રથયાત્રાના મોનિટરિંગ માટે ૪૭ જેટલા લોકેશન્‍સ પરથી ૯૬ કેમેરા, ૨૦ ડ્રોન, ૧૭૩૩ બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે. સમગ્ર રથયાત્રા રૂટ પર ખાનગી દુકાન ધારકોની સહભાગીતાથી ૧૪૦૦ જેટલા સી.સી.ટી.વી. કેમેરાથી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રખાશે. યાત્રા દરમિયાન કોઈ મેડિકલ ઈમરજન્સી ઊભી થાય કે કોઈ બનાવ બને તો તબીબી સેવાઓ માટે અમદાવાદ મહાપાલિકાની ત્રણ અને રાજ્ય સરકારની સિવિલ તથા સોલા સિવિલમાં મેડિકલ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની ૧૧ એમ્બ્યુલન્સ રથયાત્રામાં ઉપલબ્ધ રહેશે.