ચાંગાઃ નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ તેમજ ગુજરાત સરકાર દ્વારા પ્રાપ્ત ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ ધરાવતી ગુજરાતની ખ્યાતનામ પ્રાઈવેટ યુનિવર્સિટી ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) ચાંગાનો 15મો પદવીદાન સમારંભ 13 જાન્યુઆરી, 2026ના રોજ મંગળવારે ચારૂસેટ કેમ્પસમાં ભવ્ય રીતે યોજાયો હતો.

આ સમારંભના મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે ઉપસ્થિત રહી દિક્ષાંત પ્રવચન આપ્યું હતું, જ્યારે અધ્યક્ષસ્થાને ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલની આગેવાની હેઠળ દીક્ષાંત શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં અમિત શાહ, સુરેન્દ્ર પટેલ, પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ, માતૃસંસ્થાના ડો. એમ. સી. પટેલ, કિરણ પટેલ, વિપુલ પટેલ તેમજ ગવર્નીંગ બોડીના સભ્યો અને વિવિધ વિદ્યાશાખાઓના ડીન જોડાયા હતા.
આ પદવીદાન સમારંભમાં કુલ 1076 વિદ્યાર્થિનીઓ અને 1718 વિદ્યાર્થીઓ મળી કુલ 2794 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને 45 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 28 વિદ્યાર્થિનીઓ અને 14 વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો.

સંશોધન ક્ષેત્રે 19 વિદ્યાર્થિનીઓ અને 19 વિદ્યાર્થીઓ સહિત કુલ 38 વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરાઈ હતી. ફેકલ્ટી વાઈઝ જોઈએ તો ફાર્મસીના 173, મેનેજમેન્ટ સ્ટડીઝના 429, મેડિકલ સાયન્સના 183, સાયન્સના 197, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સમાં 692 અને ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગના 1120 વિદ્યાર્થીઓને પદવીઓ મળી હતી. આ પૈકી 2018 અંડર ગ્રેજયુએટ, 713 પોસ્ટ ગ્રેજયુએટ અને 25 પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા વિદ્યાર્થીઓ હતા.

અમિત શાહે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે “લક્ષ્ય વિનાનું જીવન અર્થહીન છે અને સાચી સફળતા હંમેશા સ્પષ્ટ લક્ષ્ય સાથે જ પ્રાપ્ત થાય છે. તેમણે યુવાનોને ‘વિકસિત ભારત 2047’ના વિઝન અંગે માર્ગદર્શન આપ્યું અને રાષ્ટ્રનિર્માણમાં અર્થપૂર્ણ યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.” તેમણે વ્યક્તિગત રીતે તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરી સન્માનિત કર્યા હતા.

કાર્યક્રમમાં પરંપરાગત ઈશ્વર આરાધના, દીપ પ્રાગટ્ય અને ડો. અતુલ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. પદવીદાન માટેની વિધિવત મંજૂરી બાદ વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર અને સમાજ નિર્માણ માટેના શપથ લીધા હતા. અંતમાં રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલે આભારવિધિ કરી હતી અને રાષ્ટ્રગાન સાથે સમારોહનું સમાપન થયું હતું.


