લંડન કોર્ટમાંથી માલ્યાને હાલ પૂરતી મળી મોટી રાહત

નવી દિલ્હી: વિજય માલ્યાને રાહત આપતા લંડનની હાઇકોર્ટે SBIની આગેવાનીવાળા ભારતીય બેંકોના સમૂહની અરજી પર સુનાવણી સ્થગિત કરી દીધી છે. અરજીમાં બેંકોએ કોર્ટને માલ્યાને નાદાર જાહેર કરવા કહ્યું હતું જેથી તે તેમની પાસેથી લગભગ રૂ.9920 કરોડની લોન વસૂલ કરી શકે. હાઈકોર્ટની ઇનસોલ્વન્સી શાખાના ન્યાયાધીશ માઇક બ્રિગ્સે માલ્યાને એમ કહી રાહત આપી હતી કે ભારતની સુપ્રીમ કોર્ટમાં તેમની અરજીઓ અને કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ તેનો સમાધાનના ઠરાવ આવે ત્યાં સુધી તેમને સમય આપવામાં આવશે.

ગુરુવારે પોતાના ચુકાદામાં ‘ચીફ ઇનસોલ્વન્સી એન્ડ કંપની કોર્ટ’ના જજ બ્રિગ્સે કહ્યું કે, હાલમાં બેન્કોને આવી કાર્યવાહી કરવાની તક મળે તેવું કોઈ કારણ દેખાતું નથી. મહત્વનું છે કે એસબીઆઈના નેતૃત્વમાં ભારતીય જાહેર ક્ષેત્રની બેંકોના સમૂહે આશરે રૂ.9920 કરોડનું બાકી દેવું વસૂલવા માટે માલ્યાને નાદાર જાહેર કરવાની વિનંતી કરી હતી.

ચીફ ઇન્સોલ્વન્સી એન્ડ કંપની કોર્ટના જજ બ્રિગ્સે જણાવ્યું હતું કે આ સમયે આવી કાર્યવાહી હાથ ધરવાથી બેંકોને કોઈ ફાયદો થવાની શક્યતા નથી. આ નાદારીની અરજી કોઈ પણ રીતે અસાધારણ છે. ભારતમાં સુનાવણી ચાલી રહી છે તેવા સમયે બેંકો નાદારીના આદેશો આપવા દબાણ કરી રહી છે.