ગેરન્ટેડ વળતરની રોકાણ યોજનાઓથી રોકાણકારો સજાગ રહેઃ એનએસઈ

મુંબઈ તા. 9 માર્ચ, 2023: નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના ધ્યાન પર આવ્યું છે “પંકજ સોનુ” નામે એક વ્યક્તિ, જે મોબાઈલ નંબર “9306132815” મારફતે ઓપરેટ કરે છે અને “ટ્રેડિંગ માસ્ટર” હસ્તી સાથે સંકળાયેલી છે તે સિક્યુરિટીઝ માર્કેટમાં ફંડ એકત્ર કરી રહી છે અને શેરબજારમાં રોકાણ કરવા પર ખાતરીબંધ (ગેરન્ટેડ) વળતર ઓફર કરી રહી છે. આ વ્યક્તિ રોકાણકારને તેમના ટ્રેડિંગ એકાઉન્ટને હેન્ડલ કરવાની પણ ઓફર કરે છે અને એ માટે રોકાણકારોને તેમના યુઝર આઈડી અને પાસવર્ડ જણાવવાનું કહે છે. આ વ્યક્તિથી અને તેની ઓફરથી સાવધાન રહેવાની જરૂર છે, એમ એનએસઈએ જાહેરમાં ચેતવણી આપતા જણાવ્યું છે.

શેરબજારમાં નિર્દેશાત્મક, ખાતરીબંધ કે ગેરન્ટેડ વળતર ઓફર કરતી કોઈ પણ હસ્તીની રોકાણ યોજના કાનૂન અનુસાર પ્રતિબંધિત છે. આથી રોકાણકારોને ચેતવવામાં આવે છે અને સલાહ આપવામાં આવે છે કે આવી રોકાણ યોજનાઓમાં સામેલ થવું નહિ. આવી યોજનાઓ એક્સચેન્જ દ્વારા માન્ય નથી કે તેની એક્સચેન્જ દ્વારા પણ ભલામણ કરવામાં આવતી નથી. રોકાણકારોએ તેમના જોખમે અને ખર્ચે આવી યોજનામાં રોકાણ કરવું, એનાં પરિણામો માટે એક્સચેન્જ જવાબદાર રહેશે નહિ, એમ એનએસઈએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.

વધુમાં, રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના ટ્રેડિંગ ખાતા સંબંધિત માહિતી જેવી કે યુઝર આઈડી અને પાસવર્ડ કોઈને પણ આપે નહી. ઉક્ત વ્યક્તિ કે હસ્તી નેશનલ સ્ટોક એક્સચેન્જની રજિસ્ટર્ડ મેમ્બર નથી કે ઓથોરાઈઝ્ડ વ્યક્તિ નથી. એકસચેંજે કરેલી સ્પષ્ટતા મુજબ રોકાણકારોને આવી સ્કીમ્સ સંબંધિત વિવાદના કિસ્સામાં એક્સચેન્જના કાર્યક્ષેત્ર હેઠળના ઈન્વેસ્ટર્સ પ્રોટેકશનના લાભો, વિવાદ-ડિસ્પ્યુટ નિવારણ યંત્રણા અને ફરિયાદ નિવારણ યંત્રણાનો લાભ મળી શકશે નહિ.