RBIએ બેન્કો પાસે અદાણીની લોનની વિગતો માગી

નવી દિલ્હીઃ હિંડનબર્ગના રિપોર્ટ પછી શેરબજારમાં હલચલ છે. આ હલચલને જોતાં ખુદ અદાણી ગ્રુપે અદાણી એન્ટરપ્રાઇઝીસનો FPO પરત લઈ લીધો છે. હવે અદાણી ગ્રુપને આપવામાં આવેલાં દેવાંને લઈને RBI સક્રિય થઈ ગઈ છે. RBIએ ભારતીય બેન્કો પાસેથી અદાણી ગ્રુપ અને તેમની કંપનોને આપવામાં આવેલી લોનની સંપૂર્ણ માહિતી માગી છે.

આ પહેલાં અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ.ના રૂ. 20,000 કરોડના FPO પરત લીધા પછી અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મારા માટે, મારા રોકાણકારોનાં હિત સર્વોપરી છે. એટલે રોકાણકારોના સંભવિત નુકસાનથી બચાવવા માટે અમે FPO પરત લીધો છે. આ નિર્ણયથી અમારા હાલની કામગીરી અને ભવિષ્યની યોજનાઓ પર કોઈ અસર નહીં પડે. અમે અમારી કામગીરી ચાલુ રાખીશું.

તેમણે વિડિયોના નિવેદનમાં કહ્યું હતું કે સંપૂર્ણ રીતે સબ્સ્ક્રાઇબ કરવામાં આવેલા FPO પછી એને પરત લેવાનો નિર્ણય અનેક લોકો માટે ચોંકાવનારો હતો, પણ બજારમાં હાલના ઉતાર-ચઢાવ જોતાં બોર્ડે એ અનુભવ્યું હતું કે FPOની સાથે આગળ વધવું એ નૈતિક રીતે યોગ્ય નથી.

તેમણે કહ્યું હતું કે બજરામાં સ્થિરતા આવ્યા પછી અમે પોતાની મૂડી અને બજારની વ્યૂહરચનાની સમીક્ષા કરીશું. અમારું ESG પર ખાસ્સું ફોકસ છે અને દરેક વેપાર જવાબદાર તરીકે વેલ્યુ ક્રિયેટ કરતા રહેશે. તેમણે કહ્યું હતું કે ગવર્નન્સ સિદ્ધાતોની સૌથી મજબૂતાઈ અમારી અનેક આંતરરાષ્ટ્રી ભાગીદારીથી આવે છે. અદાણી ગ્રુપથી જોડાયેલું સંકટ વદુ ઘેરું બન્યુ હતું. અદાણી ગ્રુપની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી છ કંપનીઓમાં ગુરુવારે પ્રારંભના ટ્રેડિંગ સેશનમાં નીચલી સરકિટ લાગી હતી.