પેરિસ – ફેસબુકનું વિભાજન કરી દેવાની કરાયેલી એક હાકલને કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર માર્ક ઝકરબર્ગે ફગાવી દીધી છે. ઝકરબર્ગે કહ્યું છે કે ફેસબુકનું હાલ જે કદ છે એ વાસ્તવમાં એના યુઝર્સને તેમજ લોકતાંત્રિક પ્રક્રિયાની સુરક્ષા માટે લાભકારક છે.
‘ફ્રાન્સ 2’ નામની એક ફ્રેન્ચ ચેનલને આપેલી મુલાકાતમાં ઝકરબર્ગે એમના લાંબા સમયના મિત્ર અને ફેસબુકના સહ-સ્થાપક ક્રિસ હ્યુઝે કરેલા દાવાને ફગાવી દીધો છે. હ્યુઝે એવો દાવો કર્યો છે કે ફેસબુકનું વિભાજન કરી દેવું જોઈએ, કારણ કે ઝકરબર્ગે અમર્યાદિત સત્તા અને વગ હાંસલ કરી લીધી છે. ખાનગી કે સરકારી ક્ષેત્રમાં બીજા કોઈએ આટલી બધી સત્તા અને વગ હાંસલ કર્યાં નથી.
ઝકરબર્ગે કહ્યું કે, એમણે (હ્યુઝ)એ લખેલું મેં જ્યારે વાંચ્યું ત્યારે મારો મુખ્ય પ્રત્યાઘાત એ હતો કે એ જે સૂચન કરી રહ્યા છે એનાથી એ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં કોઈ મદદ મળવાની નથી. મારું તો માનવું છે કે જો તમને લોકશાહી અને ચૂંટણીપદ્ધતિની ફિકર હોય તો તમારે માટે અમારી જેવી કંપની ઉત્તમ ગણાય, જેમાં તમે દર વર્ષે અબજો ડોલરનું મૂડીરોકાણ કરી શકો.
ઝકરબર્ગે આ મુલાકાત ‘ફ્રાન્સ 2’ ચેનલને આપી હતી. ઝકરબર્ગ ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુલ મેક્રોનને મળવા પેરિસ આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગયા ગુરુવારે, ક્રિસ હ્યુઝે ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક પ્રતિભાવ લેખમાં લખ્યું હતું કે સરકારે માર્ક (ઝકરબર્ગ)ને જવાબદાર બનાવવા જ જોઈએ. માર્કની અંગત પ્રતિષ્ઠા અને ફેસબુકની પ્રતિષ્ઠાને ખૂબ જ ઘસારો પહોંચ્યો છે.
હ્યુઝ જ્યારે 2002માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે ઝકરબર્ગે ફેસબુકના સંચાલન માટે એમને તેમની સાથે લીધા હતા.
ઝકરબર્ગનું કહેવું છે કે સુરક્ષા માટે ફેસબુકનું આ વર્ષ માટેનું બજેટ કંપનીની સમગ્ર આવક કરતાં વધારે છે. આને કારણે અમે સફળ બિઝનેસનું નિર્માણ કરી શક્યા છીએ. સોશિયલ મિડિયા ક્ષેત્રમાં અન્ય કોઈ પણ કંપની કરતાં અમે સુરક્ષાના માપદંડ માટે વધારે ખર્ચ કરીએ છીએ.
હ્યુઝનું કહેવું છે કે ઝકરબર્ગે એમની ટીમમાં એમને પડકાર ફેંકે એના કરતાં એમનો પડ્યો બોલ ઝીલી લે એવા લોકોને જ ભરતી કર્યા છે. માર્ક વ્યક્તિ તરીકે સારા અને દયાળુ છે, પણ મને ગુસ્સો એ વાતનો છે કે કંપનીનો વિકાસ કરવામાં એમણે સુરક્ષાનું બલિદાન આપી દીધું છે.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)