HDFC, HDFC બેન્કનું વિલીનીકરણ થશેઃ બંને કંપનીઓના શેરમાં ઉછાળો

નવી દિલ્હીઃ હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC લિ.નું ખાનગી ક્ષેત્રની બેન્ક HDFC બેન્કમાં વિલીનીકરણ થશે. HDFC અને HDFC બેન્કના બોર્ડસની બેઠકમાં આ વિલીનીકરણને મંજૂરી આપવામાં આવી છે. આની જાણ કંપનીના શેરહોલ્ડરો અને લેણદારોને કરવામાં આવી છે. જોકે આ વિલીનીકરણની યોજનાને હજી RBI, સેબી અને CCI સહિત અન્ય નિયામકીય મંજૂરી મળવાની બાકી છે.  જેથી HDFC લિ. અને HDFC  બેન્કના શેરમાં સવારના ટ્રેડિંગ સેશનમાં 15 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો.

આ વિલીનીકરણ પછી HDFCના શેરહોલ્ડર્સને રૂ. બેની મૂળ કિંમતવાળા પ્રત્યેક 25 શેરના બદલામાં HDFC બેન્કના રૂ. એકની મૂળ કિંમત ધરાવતા 42 શેરો મળશે. પ્રસ્તાવિત વિલીનીકરણને પરિણામે HDFC બેન્કનું અસુરક્ષિત લોનો પરનું ભારણ ઓછું થશે.

HDFC લિ. અને HDFCના વિલીનીકરણથી બોર્ડનું માનવું છે કે એનાથી ગ્રાહકો, કર્મચારીઓને અને શેરહોલ્ડરો સહિત સ્ટેકહોલ્ડરોને લાભ થશે અને લાંબા ગાળાનું મૂલ્ય પેદા થશે. આ ઉપરાંત મોદી સરકારના હાઉસિંગ ફોર ઓલના વિઝનને બળ મળશે.

રસપ્રદ વાત એ છે કે આ વિલીનીકરણ પછી HDFC બેન્કના શેરહોલ્ડિંગની પેટર્નમાં કોઈ પ્રમોટર નહીં રહે અને એવું એટલા માટે થશે કે HDFC અત્યાર સુધી HDFC બેન્કની પ્રમોટર કંપની છે. વળી, HDFCની શેરહોલ્ડિંગમાં પહેલાંથી જ કોઈ પ્રમોટર કંપની નથી, એમાં FII અને DIIનો મેજર સ્ટેક હોલ્ડિંગ રહ્યો છે. HDFC અને HDFC બેન્કનું વિલીનીકરણ થયા પછી HDFCનો 41 ટકા હિસ્સો હશે.