બજેટ 2023: મૂડીખર્ચમાં વધારો, રાજકોષીય ખાધમાં ઘટાડો ઇચ્છે છે શેરબજાર

અમદાવાદઃ બજેટને એક મહિનાથી ઓછો સમય બચ્યો છે. આ વર્ષે ભારતીય શેરબજારનો દેખાવ સૌથી સારો રહ્યો છે. બજારનું માનવું છે કે વૈશ્વિક અર્થતંત્રમાં મુશ્કેલી હોવા છતાં ભારતીય અર્થતંત્ર આવનારા સમયમાં નોંધપાત્ર રહેશે. બજારને નાણાપ્રધાનના બજેટથી બહુબધી અપેક્ષા છે. બજારનું માનવું છે કે એનાથી શેરબજારની દિશા નક્કી થશે. સરકારનો ખર્ચ વધારવાનો નિર્ણય ખાનગી ક્ષેત્ર માટે પણ સારો પુરવાર થશે, કેમ કે એમાં અર્થતંત્રમાં માગ વધશે.

બજાર ઇચ્છે છે કે સરકાર માળખાકીય જેવા ક્ષેત્રમાં ખર્ચમાં વધારો કરે. સરકાર ગ્રામીણ માગ અને વપરાશ વધારવા માટે પગલાં ભરે. રાજકોષીય ખાદ્ય ઘટાડવા માટે ધ્યાન કેન્દ્રિત કરે અને સરકાર ટેક્સ (કોર્પોરેટ) સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના કરે.

નિષ્ણાતોનું માનવું છે કે વિકસિત દેશોમાં વધતા વ્યાજદરોની અસર ભારતીય આર્થિક વિકાસ પર પ્રતિકૂળ પડશે. સરકાર કોર્પોરેટ સ્પેન્ડિંગ વધારવાની અપેક્ષા છે. વ્યાજદર વધવાથી ભારતીય આર્થિક વિકાસ સુસ્ત પડે એવી શક્યતા છે. માર્કેટનું માનવું છે કે ધિરાણ નીતિમાં સખતાઈ વધવાની વચ્ચે રાજકોષીય નીતિ મોટી મદદગાર થશે. કોરોના રોગચાળાની અસર ખતમ થયા પછી સરકારે આર્થિક ગ્રોથ 6-8 ટકા લાવવાના પ્રયાસ કરવા જોઈએ. વળી, ખાનગી કેપેક્સ સાઇકલ પણ વધવી જોઈએ. ક્રેડિટ ગ્રોથ વધી છે. આવામાં સરકારે આર્થિક ગ્રોથ વધારવા માટે મૂડી ખર્ચ વધારવો જોઈએ.

સરકારે નાણાં વર્ષ 2022-23 માટે મૂડી ખર્ચ માટે રૂ. 7.5 લાખ કરોડનું લક્ષ્ય રાખ્યું હતું, જે આગલા વર્ષ કરતાં 35 ટકા વધુ છે. જેથી સરકારે આગામી નાણાં વર્ષ માટે મૂડી ખર્ચનું લક્ષ્ય વધારીને રૂ. 10 લાખ કરવું જોઈએ. આ ઉપરાંત સરકારે વપરાશ વધારવા પ્રયાસ કરવા જોઈએ. એનો એક પ્રકાર ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરને વધારવી જોઈએ. એનાથી ગ્રામીણ વિસ્તારોમાં લોકોને વધુ નાણાં ઉપલબ્ધ થશે. અન્ય પ્રકાર ઇન્કમ ટેક્સના દરોમાં ઘટાડો કરી શકાય, પણ આ પ્રકાર બહુ જટિલ છે.