સરકારી તિજોરીમાં ૧૦૦માંથી ૫૩ પૈસા પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરામાંથી આવશે

સરકારી તિજોરીમાં આવનારા દરેક રૂપિયામાંથી ૫૩ પૈસા પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરામાંથી આવે એવી જોગવાઈ નાણાકીય વર્ષ ૨૧-૨૨ના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી છે.

આ ઉપરાંત ૩૬ પૈસા કરજ તથા અન્ય લાયેબિલિટીઝમાંથી, ૬ પૈસા ડિસઈન્વેસ્ટમેન્ટ જેવી કરવેરા સિવાયની આવકમાંથી અને ૫ પૈસા કરજ સિવાયની મૂડીગત આવકોમાંથી મળશે.

સંસદમાં રજૂ કરાયેલા બજેટના દસ્તાવેજ મુજબ દરેક ૧૦૦ પૈસા એટલે કે એક રૂપિયામાંથી ૧૫ પૈસાની આવક ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સમાંથી થશે અને કોર્પોરેશન ટૅક્સની આવક દરેક રૂપિયામાં ૧૩ પૈસા જેટલી હશે.

સરકારના અંદાજ મુજબ ૮ પૈસા કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટી, ૩ પૈસા કસ્ટમ્સ ડ્યૂટી અને ૧૪ પૈસા આવકવેરામાંથી આવશે.

ખર્ચ બાજુએ દરેક રૂપિયામાંથી ૩૦ પૈસાનો ખર્ચ વ્યાજની ચુકવણી પાછળ થશે, ૧૬ પૈસા રાજ્યોને આપવાના કરવેરા અને ડ્યૂટીના હિસ્સામાંથી થશે. સંરક્ષણ પાછળનો ખર્ચ ૧૦૦ પૈસામાંથી ૮ પૈસાનો હશે. કેન્દ્રીય યોજનાઓ પાછળનો ખર્ચ ૧૪ પૈસા અને કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓનો ખર્ચ ૯ પૈસા થશે. ફાઇનાન્સ કમિશન પરનો ખર્ચ તથા અન્ય ખર્ચ મળીને ૧૦ પૈસાનો ખર્ચ થશે જ્યારે સબસીડી પાછળ 8 પૈસા અને પેન્શન પાછળ ૫ પૈસાનો ખર્ચ થશે. અન્ય ખર્ચ ૧૦ પૈસાનો રહેશે.