આપ નેતા સંજય સિંહને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ફટકો

3 એપ્રિલે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સંજય સિંહ તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. કથિત દારૂ કૌભાંડમાં EDએ છ મહિના પહેલા તેની ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટે તેમને કેટલીક શરતો સાથે આ કેસમાં જામીન આપ્યા છે. આવી સ્થિતિમાં હવે સંજય સિંહને દેશની સૌથી મોટી કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટે તેની અરજી ફગાવી દીધી છે જેમાં તેણે ગુજરાતની કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સને પડકાર્યો હતો. આ પીએમ મોદીની ડિગ્રી સાથે જોડાયેલો મામલો છે.

પીએમ મોદી ડિગ્રી કેસમાં અરજી ફગાવી દેવામાં આવી

સુપ્રીમ કોર્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવવા બદલ AAP સાંસદ સંજય સિંહ સામે જારી કરવામાં આવેલા માનહાનિના સમન્સ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. સંજય સિંહે ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં ગુજરાતની અદાલત દ્વારા જારી કરાયેલા સમન્સને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

શું છે સમગ્ર મામલો?

હકીકતમાં, ગુજરાત હાઇકોર્ટે માહિતી અધિકાર (RTI) કાયદા હેઠળ પીએમ મોદીની ડિગ્રી વિશે માહિતી આપવાના મુખ્ય માહિતી કમિશનરના આદેશને રદ કરી દીધો હતો. આ પછી ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પીએમ મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવ્યા બાદ આ કેસ કરવામાં આવ્યો હતો.

સંજય સિંહની અરજીને ફગાવી દેતા જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે કહ્યું કે, ‘અમે હાલની અરજી પર વિચાર કરવા ઈચ્છતા નથી.’ વાસ્તવમાં, 16 ફેબ્રુઆરીએ હાઈકોર્ટે સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલની માનહાનિના કેસમાં તેમના વિરુદ્ધ જારી કરાયેલા સમન્સને રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સંજય સિંહ અને કેજરીવાલે સેશન્સ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.