આસામની હિમંતા સરકારે વિધાનસભામાં ‘નમાજ માટે બ્રેક’ આપવાની દાયકાઓ જૂની પરંપરાનો અંત લાવ્યો છે. જોકે આ નિર્ણય ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં લેવામાં આવ્યો હતો, પરંતુ બજેટ સત્ર દરમિયાન તેનો અમલ કરવામાં આવ્યો છે. આસામ સરકારના આ નિર્ણય બાદ ભારે વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે. AIUDF ના ધારાસભ્ય રફીકુલ ઇસ્લામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આ નિર્ણય સંખ્યાના આધારે લાદવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વિધાનસભામાં લગભગ 30 મુસ્લિમ ધારાસભ્યો છે. અમે આ પગલા સામે અમારા મંતવ્યો વ્યક્ત કર્યા હતા, પરંતુ તેમની પાસે (ભાજપ) સંખ્યાબંધ આંકડા છે અને તે આધારે તે લાદી રહ્યા છે.
સ્પીકર બિશ્વજીત દૈમારીએ પ્રસ્તાવ મૂક્યો હતો કે બંધારણને ધ્યાનમાં રાખીને આસામ વિધાનસભાએ અન્ય દિવસોની જેમ શુક્રવારે પણ તેની કાર્યવાહી ચલાવવી જોઈએ, આ નિયમ સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. જેને સમિતિ દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.
નિયમ શું હતો?
આસામ વિધાનસભામાં અનુસરવામાં આવતી આ પરંપરા હેઠળ મુસ્લિમ ધારાસભ્યોને શુક્રવારની નમાજ પઢવા માટે બે કલાકનો બ્રેક આપવામાં આવ્યો હતો. એટલે કે આ સમયગાળા દરમિયાન ગૃહની કોઈ કાર્યવાહી થઈ ન હતી. વિપક્ષે ગૃહના આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે અને તેને બહુમતીની મનમાની ગણાવી છે.
સીએમ હિમંતા બિસ્વા શર્માએ શું કહ્યું?
વિધાનસભાના નિર્ણય પછી મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ નિર્ણયનું સ્વાગત કર્યું, અને કહ્યું કે આ પરંપરા 1937 માં મુસ્લિમ લીગના સૈયદ સાદુલ્લા દ્વારા શરૂ કરવામાં આવી હતી, અને આ જોગવાઈને બંધ કરવાનો નિર્ણય ઉત્પાદકતાને પ્રાથમિકતા આપે છે. આના જવાબમાં સ્પીકર બિસ્વજીત દૈમારીએ કહ્યું કે આ પગલું બંધારણના ધર્મનિરપેક્ષ સિદ્ધાંતો હેઠળ લેવામાં આવ્યું છે. અન્ય દિવસોની જેમ, શુક્રવારે પણ ગૃહ પ્રાર્થના વિરામ વિના કાર્ય કરશે.
