ચોમાસુ સત્ર પહેલા સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, PM મોદી પણ હાજરી આપશે

સરકારે ચોમાસુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે. આ એક ઔપચારિક બેઠક હશે જે સંસદનું સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા સાંજે થશે. આ બેઠકમાં સરકારના વરિષ્ઠ મંત્રીઓ સાથે વડાપ્રધાન મોદી પણ ભાગ લેશે.

આ બેઠક પહેલા મંગળવારે મળવાની હતી

ઉલ્લેખનીય છે કે આ પહેલા મંગળવારે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી પરંતુ મોટાભાગના પક્ષોના નેતાઓની ગેરહાજરીને કારણે આ બેઠક સ્થગિત કરવામાં આવી હતી. આ વર્ષે અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તાધારી પક્ષ અને વિપક્ષ પોતપોતાની રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. મંગળવારે જ્યારે વિપક્ષની બેંગલુરુમાં બેઠક થઈ રહી છે, તો NDAની બેઠક દિલ્હીમાં થઈ રહી છે.

ચોમાસુ સત્ર તોફાની રહેશે

ચોમાસુ સત્ર તોફાની રહેવાની ધારણા છે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષ સરકાર સામે આક્રમક વલણ અપનાવશે. આ સાથે વિપક્ષ મોંઘવારી, મણિપુર સંકટ જેવા મુદ્દાઓ પર પણ સરકાર પર નિશાન સાધી શકે છે. ઉલ્લેખનીય છે કે સંસદનું શિયાળુ સત્ર પણ હંગામાથી ધમધમતું રહ્યું હતું.