પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં થયેલી હિંસા બાદ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બુધવારે અહીં પોલીસ અને અસામાજિક તત્વો વચ્ચે અથડામણ થઈ હતી. ભાજપના નેતા અને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ હિંસામાં સાંપ્રદાયિક વલણ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે હિંસા દરમિયાન એક શિવ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી.
શુભેન્દુ અધિકારીએ ડાયમંડ હાર્બરના એસપી અને બંગાળના ડીજીપીને અપીલ કરી છે કે તેઓ હિંસાગ્રસ્ત મહેશતલા જઈને ત્યાંના પીડિત હિન્દુ પરિવારોને મળવા માંગે છે. શુભેન્દુ અધિકારીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ‘મેં ડાયમંડ હાર્બરના એસપી અને ડીજીપી સાથે વાત કરી છે જેથી હું અને બીજા એક ધારાસભ્ય મહેશતલા જઈ શકીએ અને જેહાદીઓ દ્વારા હુમલો કરાયેલા હિન્દુ પીડિત પરિવારોને મળી શકીએ અને તેમની સાથે એકતા બતાવી શકીએ.’
બુધવારે હિંસા, અનેક પોલીસકર્મીઓ ઘાયલ
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના રવીન્દ્રનગર વિસ્તારમાં બુધવારે મોટી હિંસા ફાટી નીકળી હતી. જ્યાં ટોળાએ પોલીસ પર હુમલો કર્યો અને વાહનો તોડી નાખ્યા અને અનેક પોલીસકર્મીઓને ઘાયલ કર્યા. બે જૂથો વચ્ચે સ્થાનિક વિવાદ બાદ આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ ટોળાએ પોલીસ વાહન પર પથ્થરમારો કર્યો અને પોલીસ કારના કાચ પણ તોડી નાખ્યા. આ હુમલામાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા, જેમાં એક મહિલા કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે જેને માથામાં ઈજા થઈ હતી. પથ્થર વાગવાથી ઘણા અન્ય પોલીસકર્મીઓ પણ લોહીલુહાણ જોવા મળ્યા.
શુભેંદુ અધિકારીએ કહ્યું,’હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. મહેશતલા, મેટિયાબ્રુઝ, રવિન્દ્રનગર પોલીસ વિસ્તારમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. હિન્દુઓની દુકાનો અને ઘરો લૂંટાઈ ગયા. અનેક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા. અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં. પોલીસ દળો અને હિન્દુઓની સુરક્ષા માટે તેમણે અર્ધલશ્કરી દળો તૈનાત કરવા જોઈએ. મમતા બેનર્જીના નેતૃત્વમાં બંગાળમાં સામાન્ય પોલીસ દળ અને હિન્દુઓ સુરક્ષિત નથી. આવતીકાલે અમે વિધાનસભામાં જોરદાર અવાજ ઉઠાવીશું, અમે કલકત્તા હાઈકોર્ટની વિશેષ બેન્ચ સમક્ષ અરજી દાખલ કરીશું.’
