હું NCPમાં છું અને NCPમાં જ રહીશ : અજિત પવાર

એનસીપી નેતા અજિત પવારના ભાજપમાં જોડાવાની અટકળોનું બજાર ગરમ છે. દરમિયાન હવે તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટના વોલપેપરમાંથી પાર્ટીનો લોગો પણ હટાવી દીધો છે. જો કે, તેણે પોતે આ અટકળો અંગે હજુ સુધી કોઈ નિવેદન જારી કર્યું નથી. એ નિશ્ચિત છે કે જો તેઓ ભાજપમાં જોડાશે તો મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી શકે છે. આ પહેલા તેમણે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. તેઓ પુણેમાં NCP સુપ્રીમો શરદ પવાર અને સાંસદ સુપ્રિયા સુલેની રેલીમાં પણ ગયા ન હતા.

હવે અજિત પવારે ખુદ ભાજપમાં જોડાવાના સમાચારને લઈને નિવેદન જાહેર કર્યું છે. તેમણે પાર્ટી છોડવાના તમામ સમાચારોને માત્ર અફવા ગણાવી હતી. તેમણે કહ્યું કે જે સમાચારો બતાવવામાં આવી રહ્યા છે તેમાં કોઈ તથ્ય નથી. તેમણે કોઈ ધારાસભ્યની સહી લીધી નથી. બધા NCPમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. કેટલાક ધારાસભ્યો તેમના વિસ્તાર માટે અથવા તેમના કામ માટે મળવા આવે છે. તેનો અર્થ એ નથી કે તેઓ કોઈ અન્ય કારણોસર આવ્યા હતા

‘આવા સમાચાર જાણી જોઈને ફેલાવવામાં આવે છે’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા અહેવાલો કાર્યકરના મનમાં મૂંઝવણ પેદા કરે છે. અમે બધા શરદ પવારના નેતૃત્વમાં સાથે છીએ. આવા સમાચાર જાણી જોઈને ફેલાવવામાં આવે છે. તેમણે કહ્યું કે, અકાળ વરસાદ, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે આવા સમાચાર ફેલાવવામાં આવે છે.

શરદ પવારે શું કહ્યું

અજિત પવારના બળવાની અટકળો વચ્ચે વિવિધ દાવા કરવામાં આવી રહ્યા છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે સોમવારે (17 એપ્રિલ)ના રોજ NCP પ્રમુખ શરદ પવારનું નિવેદન પણ સામે આવ્યું હતું. અજિત પવારના કથિત બળવાની અટકળો વચ્ચે પવારે કહ્યું હતું કે ‘અજિત પવાર ચૂંટણી સંબંધિત કામમાં વ્યસ્ત છે’. આ બધી વાતો માત્ર મીડિયામાં છે.