ટાટા ગ્રુપની એરલાઇન એર ઇન્ડિયાના એક વિમાનમાં ફરી એકવાર ખામી સર્જાઈ છે. હોંગકોંગથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ દરમિયાન પાઇલટને એન્જિનમાં સમસ્યા જણાયી અને એરપોર્ટનો સંપર્ક કર્યા પછી ફ્લાઇટ હોંગકોંગ પરત ફરી.
વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા એર ઇન્ડિયાની ફ્લાઇટ AI315 ને અધવચ્ચે જ પાછી મોકલી દેવામાં આવી હતી. જે વિમાનમાં ખામી સર્જાઈ હતી તે બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતું. તાજેતરમાં અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાન પણ બોઇંગ 787-8 હતું. અમદાવાદ વિમાન દુર્ઘટના પછી એર ઇન્ડિયાના વિમાનોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હવે બીજા વિમાનમાં ખામી જોવા મળી છે. જોકે, આ ઘટનામાં કોઈ નુકસાન થયાના કોઈ સમાચાર નથી.
એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર એક વાઇડ-બોડી એરક્રાફ્ટ છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે થાય છે. આ એરક્રાફ્ટમાં 2-ક્લાસ કન્ફિગરેશન છે, જેમાં બિઝનેસ ક્લાસમાં 18 સીટો અને ઇકોનોમી ક્લાસમાં 238 સીટો છે. જોકે, એરલાઇન જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરી શકે છે.
