અમદાવાદ: મંગળવારે ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત સરકારે સાથે મળીને દિવ્યાંગજનો માટે કામ કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી.અદાણી એરપોર્ટ્સના ડાયરેક્ટર જીત અદાણીએ જણાવ્યું, “હું આજે માત્ર અદાણી ગ્રુપના અગ્રણી તરીકે નહી પરંતુ આપ તમામ દિવ્યાંગ ભાઇ-બહેનોની હિંમતથી પ્રેરિત થયેલ વ્યક્તિ તરીકે અહીં હાજર રહ્યો છું. આપની શક્તિઓ જોઈ મને જીવનનો સાચો અર્થ સમજાયો છે. અદાણી ગ્રુપ વતી હું આપને ખાતરી આપું છું કે આપની પ્રગતિ અને સશક્તિકરણ પ્રત્યેની અમારી પ્રતિબધ્ધતા અચલ છે. મને ગૌરવ છે કે છેલ્લા 10 વર્ષમાં અદાણી ફાઉન્ડેશન કૌશલ્યવૃધ્ધિ, આજીવિકાની તકો, શિક્ષણ તેમજ રોજીંદા જીવનને આસાન બનાવવા માટે સાધન સહાય મારફતે તમારી સાથે જોડાયેલું છે. ખાસ કરીને કચ્છના મુંદ્રા, ખાવડા અને લખપત તાલુકાઓમાં દિવ્યાંગ લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે અમે કામ કરી રહ્યા છીએ અને હંમેશા કરતા રહીશું.”
અદાણી ફાઉન્ડેશન સમગ્ર રાજ્યમા દિવ્યાંગ વિદ્યાર્થીઓને 1,152 ટેક્નિકલ કીટ્સનું વિતરણ કરવાનું છે. અદાણી ફાઉન્ડેશને સમગ્ર કચ્છમાં દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે શરૂ કરેલી તેમની સફરની ઝાંખી કરાવતી એક સંકલિત પુસ્તિકા ‘સ્વાવલંબન’ ખુલ્લી મૂકી હતી.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાનપદે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા તથા અતિથિ વિશેષ તરીકે સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર અને વિભાગના અગ્ર સચિવ મોહમ્મદ શાહિદ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર વી. એસ. ગઢવી અને ખાસ મહેમાન તરીકે દીવા શાહ હાજર રહ્યા હતા.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)