આપ પાર્ટી MCD મેયર ચૂંટણી નહીં લડેઃ આતિશી

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ દિલ્હી મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. મેયરની ચૂંટણી 25 એપ્રિલે યોજાવાની છે અને નામાંકન દાખલ કરવાનો આજે છેલ્લો દિવસ છે. પાર્ટીએ દિલ્હીમાં મેયરની ચૂંટણીમાં  ઉમેદવાર નહીં ઉતારવાનો નિર્ણય લીધો છે.

દિલ્હીના ભૂતપૂર્વ CM આતિશીએ કહ્યું હતું કે MCDમાં હવે ભાજપ પાસે બહુમત છે અને માટે તેમની પાર્ટી ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું હતું કે મેયરની ચૂંટણી લડવા અને જીતવા માટે અમારી પાસે પણ કોર્પોરેટર ખરીદવા-તોડવા અને વેચવા સિવાય કોઇ રસ્તો નથી અને અમે આવું કરવા માગતા નથી. અમે ઇચ્છીએ છીએ કે ભાજપ MCDમાં પણ પોતાની સરકાર બનાવે. કેન્દ્ર અને રાજ્યમાં પણ તેમની સરકાર છે, તેમને ટ્રિપલ સરકાર ચલાવવાની તક મળી રહી છે.

AAP વિપક્ષની ભૂમિકામાં

તેમણે કહ્યું હતું  કે હવે તેમની જવાબદારી બને છે કે પછી સુરક્ષા-વ્યવસ્થા હોય, વીજળી-પાણી, સ્કૂલ-હોસ્પિટલ, સાફસફાઈ હોય, હવે દિલ્હીના લોકોને કરેલાં પોતાનાં વચન પૂરાં કરે. અમે કેટલાક દિવસથી જોઇ રહ્યાં છીએ કે MCDનાં બહાનાં બનાવવામાં આવી રહ્યાં છે. પર્યાવરણ મંત્રી કહે છે કે પ્રદૂષણ એટલા માટે વધી રહ્યું છે કારણ કે MCD જાણીજોઇને કચરો સળગાવે છે. હવે ભાજપ પાસે કોઇ બહાનું નથી. હવે તેમની જવાબદારી છે કે વચન પૂરાં કરે. હવે તેમની પાસે ટ્રિપલ એન્જિનની સરકાર ચલાવવાની તક છે. આમ આદમી પાર્ટી વિધાનસભાની જેમ MCDમાં પણ મજબૂત વિપક્ષની ભૂમિકા નિભાવશે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ અઢી વર્ષમાં એક પછી એક AAPના કોર્પોરેટરોને ડરાવી-ધમકાવી અને લાલચ આપીને તોડીને લઇ ગઇ છે. ભાજપ હવે MCDના હાઉસમાં બહુમતમાં છે માટે આમ આદમી પાર્ટી મેયરની ચૂંટણી નહીં લડે. સૌરભ ભારદ્વાજને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે હવે તેમની પાસે કેટલા કોર્પોરેટર છે તો તેમણે કોઇ આંકડો જણાવ્યો નહોતો અને કહ્યું હતું કે ભાજપ કોઇ કોર્પોરેટરને તોડીને લઇ જાય છે અને પછી અમે વાત કરીએ ત્યારે તે પરત આવી જાય છે અને ફરી તોડીને લઇ જાય છે. સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે ભાજપને એક વખત ચલાવી લેવા દો જોઇએ કે તે શું કરી શકે છે.