રાયપુર: છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મોડી રાત્રે ગોઝારો અકસ્માત થયો છે. રાયપુર-બલૌદાબજાર હાઇવે પર ખરોરોની પાસે ટ્રક અને ટ્રેલરની વચ્ચે ભીષણ ટક્કર થઈ છે, જેમાં 13 લોકોનાં મોત થયાં છે. આ અકસ્માત અન્ય 12 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની સૂચના મળતાં રાયપુરના કલેક્ટર ગૌરવ સિંહ અને SP લાલ ઉમેદ સિંહ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે ઘાયલોની સારવારની નિગરાની કરી હતી અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
આ અકસ્માત નાના ટ્રક અને ટ્રેલર વચ્ચે થયો હતો . આ દુર્ઘટનાની મળતી માહિતી મુજબ અકસ્માત રાયપુર-બાલોદાબજાર રોડ પર સારાગાંવ પાસે થયો હતો. આ લોકો ચોથિયા છટ્ટી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા.
રાયપુર-બાલોદાબજાર રોડ નજીક અકસ્માત
આ દુર્ઘટના અંગે વિગતવાર માહિતી આપતા રાયપુરના એસપી લાલ ઉમ્મેદ સિંહે જણાવ્યું હતું કે ચોથિયા છટ્ટી ગામના કેટલાક લોકો છઠ્ઠીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે બાના બનારસી ગયા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રાયપુર-બાલોદાબજાર રોડ નજીક અકસ્માત થયો. આ અકસ્માતમાં કુલ 13 લોકોનાં મોત થયાં છે. જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. આ બધાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ ઉપરાંત આ પૂર્વે છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં કાર અને બાઇક વચ્ચે થયેલી ટક્કરમાં એક દંપતીનું મોત થયું હતું. તેમનો બે મહિનાનો પુત્ર પણ તેમની સાથે હતો. જેનું પણ આ માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. જ્યારે કાર ચલાવનાર ડ્રાઇવરને ઇજા થઈ હતી. આ અકસ્માત સુરગુજા જિલ્લાના સીતાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બિસુનપુર ગામ પાસે થયો હતો.
