મધ્ય પ્રદેશમાં મતદાર યાદીમાંથી 25 લાખ નામો દૂર થવાની શક્યતા

ઇન્દોરઃ મધ્ય પ્રદેશમાં SIR અભિયાન અંતર્ગત મતદાર યાદી અંગે મોટી કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્યની મતદાર યાદીમાંથી આશરે 25 લાખ નામો દૂર કરવામાં આવે એવી શક્યતા છે. ચૂંટણી પંચ સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા અનુસાર SIR દરમિયાન પ્રાપ્ત થયેલા આંકડાઓમાં મોટી સંખ્યામાં એવા મતદારો સામે આવ્યા છે, જેમની માહિતી અધૂરી છે અથવા જેમનાં નામ યાદીમાં શંકાસ્પદ જણાયાં છે.

5.76 કરોડથી વધુ ફોર્મ જમા

SIR અભિયાન અંતર્ગત રાજ્યમાંથી 5.76 કરોડથી વધુ ગણતરી ફોર્મ જમા કરવામાં આવ્યાં છે. આ ફોર્મોની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે લગભગ નવ લાખ મતદારોએ વર્ષ 2003 સંબંધિત જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવી નથી. આવા કિસ્સાઓમાં મતદારની પાત્રતા પર પ્રશ્નચિહ્ન ઊભું થઈ રહ્યું છે.

મૃત મતદારો અને ડુપ્લિકેટ નામોની ઓળખ

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આશરે 8.5 લાખ મતદારોનું અવસાન થઈ ચૂક્યું છે, છતાં તેમનાં નામ હજુ પણ મતદાર યાદીમાં નોંધાયેલાં છે. ઉપરાંત લગભગ 2.5 લાખ એવાં નામો મળ્યાં છે, જે બે અલગ-અલગ સ્થળોએ નોંધાયેલાં છે. ચૂંટણી પંચ આ તમામ કેસોને યાદીમાંથી દૂર કરવાની પ્રક્રિયામાં સામેલ કરી રહ્યું છે.

23 ડિસેમ્બરે પ્રાથમિક મતદાર યાદી જાહેર

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, SIR પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 23 ડિસેમ્બરે પ્રાથમિક મતદાર યાદીનું પ્રકાશન કરવામાં આવશે. તેને આધારે આગળ આપત્તિઓ અને દાવાઓ નોંધાવી શકાશે. જેમ લોકોએ અધૂરી ગણતરી ફોર્મ ભરી છે, તેમને નોટિસ પાઠવવામાં આવશે, જેથી તેઓ સમયસર પોતાની માહિતી અપડેટ કરી શકે. જાણકારી મુજબ, SIRની સમગ્ર પ્રક્રિયા 18 ડિસેમ્બરે બંધ કરવામાં આવી છે. તે પહેલાં મધ્ય પ્રદેશમાં આ અભિયાનની સમયમર્યાદા વધારવામાં આવી હતી, જેથી વધુમાં વધુ મતદારોનું સત્યાપન કરી શકાય. હવે અંતિમ તબક્કામાં યાદીને દુરસ્ત કરવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી છે.