થાઈલેન્ડમાં ટ્રેન પર ભારે ક્રેન પડતાં 22 મુસાફરોનાં મોતઃ 30થી વધુ ઘાયલ

બેન્ગકોકઃ થાઈલેન્ડમાં એક ભયાનક અકસ્માત થયો છે. બેન્ગકોકથી દેશના ઉત્તર-પૂર્વ પ્રાંત તરફ જઈ રહેલી એક ટ્રેન પર અચાનક ભારે ક્રેન પડતાં ટ્રેન પાટા પરથી  ખડી પડી હતી. પોલીસે જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 22 લોકોનાં મોત થયાં છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ અકસ્માત બુધવારે બેન્ગકોકથી લગભગ 230 કિમી દૂર નખોન રાચાસીમા પ્રાંતના સીખિયો જિલ્લામાં થયો હતો. સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું  હતું કે દુર્ઘટનામાં 22 લોકોનાં મોત થયાં છે અને 30થી વધુ ઘાયલ છે. ટ્રેન થાઈલેન્ડના ઉબોન રાચથાની પ્રાંત તરફ જઈ રહી હતી. સ્થાનિક મિડિયા અહેવાલો અનુસાર એક ક્રેન હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી, ત્યારે તે અચાનક ધરાશાયી થઈ હતી અને પસાર થતી ટ્રેન પર સીધી પડી ગઈ. આ કારણે ટ્રેન પાટા પરથી ઊથલી પડી હતી અને થોડી વાર માટે આગ પણ લાગી ગઈ.

બચાવ કામગીરીનો એક વિડિયો સોશિયલ મિડિયામાં સામે આવ્યો છે, જેમાં બચાવ કર્મચારીઓ ટ્રેનના કાટમાળને કાપીને ઘાયલોને બહાર કાઢતા નજરે પડે છે.

ટ્રેનમાં કુલ 195 મુસાફરો સવાર હતા

થાઈલેન્ડના પરિવહન મંત્રી ફિફાટ રત્ચાકિટપ્રકર્ણે જણાવ્યું હતું કે ટ્રેનમાં કુલ 195 લોકો સવાર હતા અને અધિકારીઓ મૃતકોની ઓળખ માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. આ ક્રેનનો ઉપયોગ થાઈલેન્ડમાં હાઈ-સ્પીડ રેલ નેટવર્ક બનાવવા માટેના 5.4 અબજ ડોલરના પ્રોજેક્ટમાં થઈ રહ્યો હતો. આ પ્રોજેક્ટને ચીનનો સહયોગ છે. આ યોજના ચીનની વિશાળ “બેલ્ટ એન્ડ રોડ” ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલનો ભાગ છે, જેના અંતર્ગત 2028 સુધીમાં લાઓસ મારફતે બેન્ગકોકને ચીનના કુનમિંગ સાથે જોડવાનો ઉદ્દેશ છે.

થાઈલેન્ડમાં ઔદ્યોગિક અને બાંધકામ સ્થળોના અકસ્માતો લાંબા સમયથી સામાન્ય રહ્યા છે. અહીં સુરક્ષા નિયમોના ઢીલા અમલને કારણે અવારનવાર જીવલેણ ઘટનાઓ બને છે.