લખનૌ: ઉત્તર પ્રદેશ સરકારે રાજ્ય પોલીસ દળમાં કોન્સ્ટેબલ, ઘોડાસવાર પોલીસ અને ફાયરમેન સહિતનાં અનેક પદો પર સીધી ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 20 ટકા રિઝર્વેશન આપવા અંગેનો નિર્ણય લીધો છે. રાજ્યના નાણાં મંત્રી સુરેશકુમાર ખન્નાએ આ માહિતી આપી હતી. CM યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ સંબંધિત નિર્ણય લેવામાં આવ્યો.
મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા નાણાં મંત્રી ખન્નાએ જણાવ્યું કે આ પગલું અગ્નિપથ યોજનાના અંતર્ગત ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર પૂર્વ અગ્નિવીરોને અર્થપૂર્ણ સેવા પછી નવી તક આપવા માટે લેવામાં આવ્યું છે.
રિઝર્વેશન તમામ કેટેગરીમાં લાગુ થશે
તેમણે કહ્યું હતું કે આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે. રિઝર્વેશન તમામ કેટેગરીઓમાં લાગુ થશે – સામાન્ય, એસસી, એસટી અને ઓબીસી. જો કોઈ અગ્નિવીર એસસી કેટેગરીમાં આવે છે, તો તેને એસસી કેટેગરીમાં જ રિઝર્વેશન મળશે. જો ઓબીસી હોય, તો ઓબીસીમાં જ. ખન્નાએ જણાવ્યું હતું કે આ પદો માટે અરજી કરનારા અગ્નિવીરોને ત્રણ વર્ષ સુધી વિશિષ્ટ વય છૂટ આપવામાં આવશે.
આ સંબંધિત ભરતી ચાર કેટેગરીમાં થશે – કોન્સ્ટેબલ પોલીસ, કોન્સ્ટેબલ પીએસી, ઘોડાસવાર પોલીસ અને ફાયરમેન – જેમાં પૂર્વ અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે.
2022માં શરૂ થઈ હતી અગ્નિપથ યોજના
કેન્દ્ર સરકારે 2022માં અગ્નિપથ યોજના શરૂ કરી હતી. આ યોજનાના હેઠળ આર્મી, નેવી અને એરફોર્સમાં ચાર વર્ષ માટે યુવાનોની કોન્ટ્રેક્ટ આધારિત ભરતી કરવામાં આવે છે. આ ચાર વર્ષમાં છ મહિનાની તાલીમ પણ સામેલ હોય છે. ચાર વર્ષ બાદ તેમની કાર્યક્ષમતા મુજબ રેટિંગ આપવામાં આવે છે અને આ આધાર પર માત્ર 25 ટકા અગ્નિવીરોને સ્થાયી સેવા માટે પસંદ કરવામાં આવે છે.
