પાટણવાવના ઓસમ ડુંગરનો લોકપ્રિય લોકમેળો

તા. ૧૫ થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન પાટણવાવના ઓસમ ડુંગરે યોજાનાર લોકમેળામાં ઉમટશે માનવ મહેરામણ

*****

  • રાજકોટ જિલ્લાનું હિલ સ્ટેશન
  • ૬૩૫ એકરમાં ફેલાયેલા ઐતિહાસિક પર્વતની ટોચે ‘‘માત્રી મા’’નું મંદિરનો મહાભારતમાં છે ઉલ્લેખ

*****

અંદાજે ૨૦૦ વર્ષથી દર વર્ષે અહીં ભાદરવી અમાસે ભરાય છે લોકમેળોઃ પર્વતના ૫૮૫ પગથિયાંઃ યુવા સાહસિકો માટે દરવર્ષે યોજાય છે ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા


રાજકોટ જિલ્લામાં આવેલા પર્વતો પર નજર કરીએ તો રાજકોટ જિલ્લાના છેવાડે ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે ઓસમ ડુંગર આવેલો છે. રાજય સરકારે આ ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની મંજૂરી આપી હતી. જેથી આ સ્થળનો લાખોના ખર્ચે  આકર્ષક અને રળિયામણો વિકાસ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા થયો છે.

અંદાજે ૨૦૦ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે અહીં ભાદરવી અમાસના રોજ લોકમેળો ભરાય છે. ચાલુ વર્ષે પણ તા.૧૫થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન અહીં લોક મેળો યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડવાની સંભાવના છે.

રાજકોટ જિલ્લાનું હિલ સ્ટેશન એવા ઓસમ પહાડ ઉપર હરિયાળી આચ્છાદિત હોવાથી અહીં કુદરતી સૌંદર્યને માણવા લાખો પ્રવાસીઓ ઉમટી પડે છે.

યુવા સાહસિકો માટે દર અહીં વર્ષે ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એડવન્ચર સ્પોર્ટસ તરીકે પણ આ સ્થળનો વિકાસ થઇ રહયો છે. 

૬૩૫ એકર વિસ્તારનો ફેલાવો અને ઐતિહાસિક મહાત્મ્ય ધરાવતા પર્વતની ટોચે માત્રી માતાનું મંદિર આવેલું છે. લોક મેળાના આ પ્રસંગે દેશ-વિદેશમાંથી ભાવિકો ઉમટી પડે છે. આ પર્વત પર ૫૮૫ જેટલાં પગથિયાં છે.

ઓસમ ડુંગરની શિલાઓ સપાટ અને લીલી હોવાથી ભૂતકાળમાં એક સમયે તે માખણિય પર્વત તરીકે ઓળખાતો હતો. આ પર્વતનો ઉલ્લેખ મહાભારતમાં પણ થયેલા જોવા મળે છે. જેમાં શ્રી માત્રી માતાનો ઉલ્લેખ શ્રી છત્રેશ્વરી માતા તરીકે થયો છે.

આ ઓસમ ડુંગરનો હિમાચલ પ્રદેશ જેવી હરિયાળીનો નજારો જોવા લાખો પર્યટકો આવી આનંદિત થતાં હોય છે. ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર, હીડંબાનો હિંચકો, સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ મંદિર, તળાવ સહિત જૈન ધર્મના આસ્થા સમી ધાર્મિક જગ્યાઓ આવેલી છે.  

(પારૂલ આડેસરા)