નિર્દેશક ગુલઝારે ફિલ્મ ‘મૌસમ’ (૧૯૭૫) માં એક દ્રશ્ય સ્ક્રિપ્ટમાં ન હોવા છતાં પરિસ્થિતિ બદલાતા ઉમેર્યું હતું. લેખક, ગીતકાર અને નિર્દેશક તરીકે ગુલઝાર એક-એક દ્રશ્યના ફિલ્માંકન માટે કેટલી કાળજી રાખતા હતા અને બીજા માટે કેટલા મદદરૂપ થતાં હતા એના કિસ્સા એમના સહાયક રહેલા નિર્દેશક એન. ચંદ્રાએ એક મુલાકાતમાં યાદ કર્યા છે. ચંદ્રા મંગેશ દેસાઈને ત્યાં સહાયક એડિટર તરીકે કામ કરતાં હતા ત્યારે એમની બાજુમાં આવેલ સ્ટુડિયોમાં એડિટર વામન ભોંસલેને ત્યાં બેસવા જતાં હતા.
એક વખત કોઈ ફિલ્મનું એડિટિંગ ચંદ્રાએ ગુલઝારને બતાવવાનું હતું. એમણે જાણ્યું હતું કે સહાયક નિર્દેશકોને બહાર શુટિંગ માટે વધારે જવાનું થતું હતું. એમને પ્રવાસનો શોખ હતો. ચંદ્રાને જાણવા મળ્યું હતું કે ગુલઝારની ફિલ્મનો ક્લેપર બોય હતો એને કાઢી મૂક્યો હતો. કેમકે ફિલ્મનું શુટિંગ શરૂ થવાનું હતું ત્યારે એ સ્ટુડિયોના કેન્ટીનમાં એક છોકરી સાથે વાતો કરતો બેસી રહ્યો હતો. એટલે ચંદ્રાએ ફિલ્મના દ્રશ્યો બતાવવાનું રોકીને વચ્ચે પૂછી લીધું કે મને ક્લેપર બોય તરીકે લેશો? ગુલઝારને નવાઈ લાગી હતી કે રીલ અટકાવી આ વચ્ચે કેમ પૂછી રહ્યો છે. એમણે પહેલાં રીલ બતાવવા કહ્યું પછી વામન સાથે વાત કરી અને કહ્યું કે એક શરત પર તે રાખી શકે છે. શુટિંગ હોય કે ના હોય દરેક દિવસે સેટ પર હાજર રહેવું પડશે અને સ્ટાઇપેન્ડ તરીકે રૂ.200 મળશે. ત્યારે ચંદ્રાને એડિટર તરીકે મહિને રૂ.3000 મળતા હતા. છતાં ફરવા જવાનું મળે એ માટે એક સહાયક તરીકે ગુલઝાર સાથે જોડાયા હતા.
ગુલઝારની એવી પદ્ધતિ હતી કે એમના મુખ્ય સહાયક જ્યારે સ્વતંત્ર નિર્દેશક તરીકે આગળ વધી જાય ત્યારે એના સ્થાને બીજાને લાવવાને બદલે પછીના સહાયકને મુખ્ય બનાવી દેતા હતા, એન. ચંદ્રા જ્યારે એમની સાથે જોડાયા ત્યારે પુષ્પરાજ મુખ્ય હતા. એમને જ્યારે પોતાની ફિલ્મ મળી ગઈ ત્યારે બીજા સહાયક મેરાજને મુખ્ય બનાવી દીધા. એ જ રીતે એ ગયા એટલે એમના હાથ નીચેના રાજ એન. સિપ્પીને મુખ્ય સહાયક નિર્દેશક બનાવ્યા. અને રાજ ગયા પછી એન. ચંદ્રાનો નંબર લાગ્યો હતો. એન. ચંદ્રે ગુલઝારની આંધી, મૌસમ વગેરેમાં સહાયક તરીકે કામ કર્યું હતું. રાજ એન. સિપ્પી જેમાં મુખ્ય સહાયક હતા એ ‘મૌસમ’ ના એક ગીતના શુટિંગ પછી ગુલઝારને શર્મિલા ટાગોરની આંગળીમાં રહેલી મોટી વીંટી દેખાઈ નહીં. દ્રશ્યની કંટીન્યુટી જળવાય એવો એમનો આગ્રહ રહેતો હતો. તે રાજ ઉપર જ નહીં બધા ઉપર ગુસ્સે થઈ ગયા. શુટિંગમાં વિરામ જાહેર કરી દીધો.
એન. ચંદ્રા એક સહાયક હતા અને એમની પણ આ બાબતે એટલી જ જવાબદારી હતી. હવે ગુલઝાર શું કરશે એની ચિંતામાં બધા હતા. બે કલાક પછી એમણે રાજ અને ચંદ્રાને બોલાવ્યા અને કહ્યું કે ગીત પછીનું એક દ્રશ્ય છે એમાં શર્મિલા મોં ધોતી હોય છે ત્યારે સંજીવ કુમાર આવે છે અને કહે છે કે તારી વીંટી તું ત્યાં ભૂલી ગઈ હતી આ લે. અને આમ એમણે એક દ્રશ્ય ઉમેરીને એ ભૂલને ઢાંકી દીધી હતી. ગુલઝાર સાથે કામ કરનાર દરેક સહાયક નિર્દેશકને આવું ઘણું એમની પાસેથી શીખવા મળ્યું હતું.
