નિર્દેશક મહેશ ભટ્ટની સફળ રહેલી ફિલ્મ ‘આશિકી’ (૧૯૯૦) લેખક રોબિન ભટ્ટને કારણે બની હતી. નિર્દેશક બનવા માગતા રોબિને અગાઉ એકપણ ફિલ્મ લખી ન હોવા છતાં ‘આશિકી’ લખી હતી અને લેખક તરીકે કારકિર્દી બનાવી હતી. નિર્દેશક નાનાભાઇ ભટ્ટના પુત્ર હોવાથી ફિલ્મી માહોલમાં બાળપણ વીત્યું હતું. પરિવારમાં કોઈએ વધારે અભ્યાસ કર્યો ન હતો પણ પિતાએ રોબિનને સ્નાતક સુધી અભ્યાસ કરવાનો આગ્રહ રાખ્યો હતો. સ્નાતક થયા પછી પિતાએ કહ્યું કે ફિલ્મોમાં કોઈ કામ શોધવાને બદલે બહાર નોકરી શોધી લે. અને રોબિને એક આંતરરાષ્ટ્રીય કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં નોકરી મેળવી હતી. એમાં સફળતા મળી પણ આનંદ આવતો ન હતો.
ફિલ્મી વાતાવરણ હતું તેથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ પ્રવેશ મેળવવાનો નિર્ણય લઈ લીધો. લેખક બનવાનું તો રોબિને વિચાર્યું જ ન હતું. નિર્દેશક બનવાનું સપનું હતું. ઘરમાં વાત કરીને માં કસમ, ઇલ્જામ વગેરેના નિર્દેશક શિબુ મિત્રાના સહાયક તરીકે કામ શરૂ કર્યું. એમની સાથે કામ કરતાં હતા ત્યારે ભાઈ મહેશ ભટ્ટ સાથે આર.કે સ્ટુડિયો જવાનું થયું. ત્યાં ઋષિ કપૂર સાથે મુલાકાત થઈ અને એમણે પૂછ્યું કે શું કરવા માગે છે? ત્યારે રોબિને નિર્દેશક બનવાની વાત કરી. ઋષિએ જાણ્યા પછી કહ્યું કે શિબુને બદલે બીજા કોઈ મોટા નિર્દેશક પાસે જા.
રોબિનના મત પ્રમાણે શિબુ મોટા નિર્દેશક હતા. પરંતુ ઋષિની વાત મનમાં બેસી ગઈ હતી. પોતાના દિલની વાત મુકેશ ભટ્ટને કરી. ત્યારે એ વિનોદ ખન્નાના સેક્રેટરી હતા. એમને કહ્યું કે મારે મનમોહન દેસાઇ કે પ્રકાશ મહેરા જેવા મોટા નિર્દેશકના સહાયક તરીકે કામ શરૂ કરવું છે. એમણે જવાની દીવાની, રફુચક્કર વગેરેના નિર્દેશક નરેન્દ્ર બેદીને વાત કરી અને એમણે ખુશીથી એમની સાથે રોબિનને રાખ્યા. નરેન્દ્રની એક આદત હતી કે તે સહાયકો સાથે ફિલ્મની સ્ક્રિપ્ટની ચર્ચા કરતાં હતા. એમની સાથે રહીને રોબિનને લેખનમાં રસ જાગી ચૂક્યો હતો. તે સ્ક્રિપ્ટ પર પોતાના વિચાર રજૂ કરતાં હતા. નરેન્દ્ર કહેતા પણ ખરા કે નિર્દેશક બનવા માટે સારા લેખક હોવું જરૂરી બનશે.
વાર્તા જાતે બનાવવી પડશે. નિર્માતા અને કલાકારોને વાર્તા સંભળાવવી પડશે. અચાનક એમનું નિધન થતાં એ કામ છૂટી ગયું. એ સમયમાં રોબિને શફી ઇનામદાર અને પ્રિયા તેંડુલકરના સેક્રેટરી તરીકે કામ કામ કર્યું. દરમ્યાનમાં મહેશ ભટ્ટે બધા ભાઈઓ સાથે મળીને ‘વિશેષ ફિલ્મ્સ’ ની સ્થાપના કરી. એમાં રોબિનને પ્રોડકશન વિભાગનું કામ સોંપ્યું. મહેશ ભટ્ટના નિર્દેશનમાં ફિલ્મો બનતી હતી એનું નિર્માણનું કાર્ય રોબિન સંભાળતા હતા. એમની ફિલ્મો સલીમ ખાન લખતા હતા અને ત્યારે રોબિન એમની સાથે બેસતા હતા. એ ‘કેવું લાગ્યું?’ એમ પૂછતાં ત્યારે રોબિન સૂચન કરતાં હતા. એનો સ્વીકાર થતો ત્યારે રોબિનને સારું લાગતું હતું. એક સમય એવો આવ્યો કે છ -આઠ મહિના માટે ‘વિશેષ ફિલ્મ્સ’માં કોઈ કામ ન હતું ત્યારે ગુલશનકુમારે આઠેક ગીતોની કેસેટ આપીને મહેશ ભટ્ટને કહ્યું કે આના પરથી મને એક રોમેન્ટિક ફિલ્મ બનાવી આપો.
મહેશે કહ્યું કે હું તો સંવેદનશીલ વાર્તાવાળી ફિલ્મો બનાવું છું એટલે રોમેન્ટિક બનાવી શકીશ નહીં. ત્યારે બાજુમાં બેઠેલા રોબિને ઈશારો કરીને કહ્યું કે તમે હા પાડી દો આપણે કરીશું. સામાન્ય રીતે ફિલ્મ લખાયા પછી એમાં ગીતો માટે સિચ્યુએશન ઊભી કરવામાં આવતી હતી. આ કિસ્સામાં ગીતો પરથી વાર્તા લખવાની હતી. મહેશ ભટ્ટે રોબિન પર લેખનની જવાબદારી નાખી દીધી હતી.
ફિલ્મનું કામ જતું ના રહે એટલે રોબિને વાર્તા લખવાના પ્રયત્ન શરૂ કર્યા. અને એવું વિચાર્યું કે ફિલ્મ ફ્લોપ થઈ જશે તો કહીશ કે હું ક્યાં લેખક છું! રોબિને આઠ ગીતોની આસપાસ વાર્તા લખી ત્યારે ગુલશનકુમાર બીજા ત્રણ ગીતો આપી ગયા. એને પણ વાર્તામાં પરોવી દીધા. એ ફિલ્મ ‘આશિકી’ થી રોબિનની લેખક તરીકેની કારકિર્દીની શરૂઆત થઈ હતી. ફિલ્મ સફળ થઈ ત્યારે લોકોએ કહ્યું કે લેખનને કારણે નહીં લોકપ્રિય ગીતોથી હિટ થઈ છે. એ પછી સાથી, સડક, દિલ હૈ કિ માનતા નહીં વગેરે સફળ થઈ ત્યારે લોકોએ માન્યું કે રોબિન ભટ્ટ સારા લેખક છે.
