Tuesday, June 10, 2025
Google search engine
HomeSpecial StoriesPhoto Storyઐતિહાસિક અમદાવાદમાં ડચ પ્રજાની યાદગીરી

ઐતિહાસિક અમદાવાદમાં ડચ પ્રજાની યાદગીરી

અમદાવાદમાં ઐતિહાસિક કાંકરિયા તળાવ પાસે એક અનોખું, નવાઇ પમાડે એવું સ્થાપત્ય જોવા મળે છે. હકીકતમાં એ ભારતમાં અંદાજે ચારસો વર્ષ કરતાં પણ વધારે સમય પહેલાં વેપાર માટે આવેલા હોલેન્ડ-નેધરલેન્ડના ડચ વેપારીઓની કબરો છે. ભારતના મોટાભાગના પ્રાંતમાં અંગ્રેજો અને મોગલોના સામ્રાજ્ય વખતના સ્થાપત્યો જોવા મળે છે, પણ ડચ વેપારીઓનું આ સ્થાપત્ય વિશેષ છે.

સત્તરમી-અઢારમી સદીમાં હૉલેન્ડના ડચ વેપારીઓ ગુજરાતમાં સુરત સુધી સુતરાઉ કાપડ, સુતર અને ગળીનો વેપાર કરવા આવતા. આ વેપારીઓ સુરત, ભરૂચ અને અમદાવાદમાં સ્થાયી થયેલા. અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં વન્-ટ્રી હિલ ગાર્ડનમાં આવેલી ડચ લોકોની કબરો એની સાખ પૂરે છે. લગભગ સાડા ચારસો વર્ષ જૂની આ કબરો વિશે નવી પેઢીને કદાચ ખબર ય નહીં હોય.

૧૯૭૨માં આ સ્થળને યુનેસ્કો તરફથી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. ભારતીય અને ડચ સ્થાપત્ય શૈલીના સુંદર મિશ્રણ સમી આ કબરોમાં ઘુમ્મટ સ્તંભો અને ત્રિકોણાકાર મિનારાઓનો ઉપયોગ થયો છે. અમુક કબરો પર ક્રોસના ચિહ્નો અને ડચ-લેટિન લખાણ નજરે પડે છે. અમદાવાદમાં ઇંગ્લિશ કંપની એસ્ટાબ્લિશ કરનાર ઍલ્ડવર્થની કબર પણ અહીંજ છે. એક આર્મેનિયન કબર પર સન ૧૧૭૭ (એટલે કે ઇ.સ. ૧૬૨૮-૨૯)નો ઉલ્લેખ છે.

કબ્રસ્તાન હોવા છતાંયે આ સ્થળ સુંદર અને શાંત છે. ૨૦૦૧માં આવેલાં ભૂકંપમાં આ કબરો પણ ક્ષતિગ્રસ્ત થઇ હતી. આ ઐતિહાસિક સાઇટની જાળવણી કરવા માટે ઇન્ડો-ડચ બિઝનેસ સર્કલ અને નેધરલેન્ડ ઍમ્બેસીએ ૨૦૧૧ માં કરાર કર્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular