Saturday, June 7, 2025
Google search engine
HomeReligion & SpiritualityBAPSનિંદાનંદમાં નહીં, નિજાનંદમાં મસ્ત રહો...

નિંદાનંદમાં નહીં, નિજાનંદમાં મસ્ત રહો…

હમણાં 7 મેએ ગુજરાત તથા અન્ય રાજ્યમાં લોક સભાની ચૂંટણીનું મતદાન થયું. અમારા જેવા સાધુ-સંતો સહિત ગુજરાતવાસીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું. મતદાનની સમી સાંજે એક ભાઈનો ફોન આવ્યો. ફોન પર વ્યથા ઠાલવતાં એ કહેઃ “સ્વામી, આ ચૂંટણી ને લોકશાહી ને મતદાન એ બધું ઠીક છે… પણ આ દેશમાં રહેવા જેવું તો નથી…”

મને નવાઈ લાગીઃ “કેમ? શું થયું?”

સામેથી જવાબ આવ્યો, “તમે રોજ સભામાં આપણી મહાન સંસ્કૃતિ, ઉચ્ચ મૂલ્યો, ભવ્ય પરંપરાનાં ગુણગાન ગાઓ છો, પણ મને તો ક્યાંય એના છાંટાયે દેખાતા નથી. આવી અભરાઈમાં સજાવીને મૂકેલી સંસ્કૃતિનાં બણગાં ફૂંકવાનો અર્થ ખરો?”

પછી એમણે મને શું બન્યું એ કહ્યું. માત્ર એક પ્રતિકૂળ ઘટના એમની સાથે ઘટી અને આખેઆખી ભારતીય સંસ્કૃતિને મૃત ઘોષિત કરી દીધી. સમાજમાં કે રાષ્ટ્રમાં કે અંગત જીવનમાં કશુંક અનિચ્છનીય બને ત્યારે સંસ્કૃતિ કે પરંપરાને દોષ દેનારી આવી અનેક વ્યક્તિ આપણે જોઈ છે. આ આપણી જૂની ટેવ છે. આપણી ચર્ચામાં ભારત દેશની ગરીબી અને અછતની વાત ન આવે એવું ભાગ્યે જ બને. એથીયે વધારે અક્ષમ્ય તો એ છે કે અણસમજ અને યોગ્યતા વગર નવા, ક્રાંતિકારી વિચાર આપવાની સ્પર્ધામાં સંસ્કૃતિખંડન કરીને ખુશ થઈએ છીએ.

નવો વિચાર કે નવો દૃષ્ટિકોણ આપવો સારી બાબત છે, પણ કોના ભોગે? શું પોતાનાં જ મૂળ ઉપર પ્રહાર કરીને ક્યારેય કોઈ વૃક્ષ ઊભું રહી શકે ખરું? કૂવાના દેડકાની વાત આપણે ઘણી વાર સાંભળી છે. હા, તેની ભૂલ તો છે જ, પરંતુ તે ક્ષમ્ય છે. પોતાની બુદ્ધિ અને અનુભવ પ્રમાણે દેડકો પોતાના સ્થાનનો મહિમા કહે છે, પરંતુ દેડકાનો એક ગુણ છે કે તે સમુદ્રની નિંદા નથી કરતો. તે ત્યાં પોતાની શ્રેષ્ઠતા બતાવવા ગયો પણ નથી. તે નિજાનંદમાં મસ્ત છે, નિંદાનંદમાં તેને રસ નથી.

શું આપણી પરંપરામાં બુદ્ધિમત્તા અને તર્કસિદ્ધિને સ્થાન જ નહોતું? ન્યાયદર્શનના ગ્રંથોએ જે પ્રખર તર્કસભર શાસ્ત્રાર્થની પદ્ધતિ આપી છે તે સમગ્ર વિશ્વમાં અજોડ છે. સામાન્ય બુદ્ધિશાળી માણસોની બુદ્ધિસીમા પછી ન્યાયદર્શનની સીમાનો આરંભ થાય છે. હા, આ ગ્રંથોને ભણવા માટે અત્યંત ઉચ્ચ કક્ષાની પ્રજ્ઞા જોઈએ. આવા તાર્કિક દર્શનોમાં પણ ભગવાન, આત્મા, મંદિર, પરંપરા, પ્રણાલી આદિનું મંડન જ થયું છે. આપણી સંસ્કૃતિ અને પરંપરાની રક્ષા માટે જ આ ગ્રંથો હતા. જો કોઈને ખરેખર બુદ્ધિશાળી, વિચારક, વિવેચક, મીમાંસક કે તાર્કિકનું પાટિયું લગાડવું હોય તો એક વાર ન્યાયવેદાંતનાં શાસ્ત્રોને જોવાં જ રહ્યાં.

સાચી બુદ્ધિમત્તા સંસ્કૃતિના ખંડનમાં નહીં, પરંતુ તેના જતનમાં છે. તે જ સાચું જ્ઞાન છે. એટલે જ સંસ્કૃતિના રક્ષક અને પરંપરાના નિર્વાહક મહાપુરુષોને લોકો બુદ્ધિશાળી નહીં, પરંતુ જ્ઞાની કહે છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા સન 2000ના ઑગસ્ટમાં વર્લ્ડ પીસ સમિટનું આયોજન થયેલું. આ સભામાં ૫૪ દેશોમાંથી 1800 ધર્મગુરુઓએ ભાગ લીધો હતો. વિશ્વના પ્રમુખ ધર્મ-સંપ્રદાયોના પ્રતિનિધિઓને સભાને સંબોધવા માટે આમંત્રિત કરાયેલા, જેમાં સનાતન હિંદુ ધર્મનું વૈશ્વિક પ્રતિનિધિત્વ પ્રમુખસ્વામી મહારાજે કર્યું હતું. સનાતન સંસ્કૃતિ અને પરંપરાગત વેશભૂષા, પ્રવચનની ગુજરાતી ભાષા, વૈદિક મંત્રગાન તથા ભગવાનની ચલ મૂર્તિનું અખંડ સાંન્નિધ્ય- સ્વામીજીના માધ્યમથી યુનોની આ સભામાં ભારતની અસ્મિતા પ્રતિષ્ઠિત થઈ ગઈ. જે જ્ઞાની મહાપુરુષોની એક મુલાકાતથી યુનો જેવી શ્રેષ્ઠ સંસ્થાના જનરલ સેક્રેટરી કોફી અનાન પણ પ્રશંસક થઈ જતા હોય એમની પરંપરાને કોઈ પછાત કહી શકે?

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular