માણસ એક સામાજિક પ્રાણી છે. એટલે એને અમુક પ્રાણીઓ ગમવાના. કોઈને તો વળી અજગર અને વાઘ પાળવાના પણ શોખ હોય છે. પછી એક દિવસ ખબર પડે કે એ પાળેલો અજગર જ માલિકને ગળી ગયો. આજના ભૌતિકતાના યુગમાં તો પાળેલો માણસ પણ માલિકના ધંધાને ગળી જાય છે. સહુથી અવિશ્વાસુ પ્રાણી માણસ છે. એ ક્યારે શું કરશે એને કળવું અઘરું છે. કદાચ એટલે જ માણસથી બચવા લોકો જાનવરો પાળતા હશે. પણ ધીમે ધીમે માણસના સહવાસમાં જાનવરો પણ એમના જેવા થઇ જશે તો? કોઈની અદેખાઈ કરવી, સ્વાર્થ માટે કોઈને રંજાડવા, ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડી જાય એ ભયથી માણસનું ખૂન કરી નાખવું જેવી ઘણી બધી બાબતો જો પ્રાણીઓ શીખી જશે તો માણસ પોતાના જ પાળેલા પ્રાણીઓનો ભોગ બની જશે. કદાચ એને જ કર્મનો સિદ્ધાંત કહેતા હશે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ ચોક્કસ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: કુતરાઓની સોસાયટી હોય ખરી? અમારી સોસાયટીમાં કુતરાઓ બિન્ધાસ્ત ફરે છે. એના માલિકો પાસે સમય નથી એટલે એમણે માણસો રાખ્યા છે. માણસો પોતાના મોબાઈલમાં બીઝી હોય એટલે કુતરાઓ એની મેળે ફર્યા કરે છે. એક સાતમાં માળ વાળા અંકલ કુતરાને સાચવી નથી શકતા એટલે કુતરાને સોસાયટીની લીફ્ટમાં કે બગીચામાં ટોઇલેટ કરાવી દે છે. એવું એક નવા પાડોસી પણ કરે છે. એમનો તો છોકરો પણ લીફ્ટમાં પેસાબ કરી જાય છે. મેં એમને ટોક્યા તો કહે છે કે મારો છોકરો પણ મારા માટે તો મારા કુતરા જેવો જ છે! મોઢા પર કશું બાંધ્યા વિના કુતરાને છોડી દે એવું થોડું ચાલે. પેલા અંકલ કહે છે કે આંટીના ગયા પછી મારા માટે તો આ લુસી જ તારી આંટી છે. એને હું દુખી નહિ જોઈ શકું.
થોડા સમય પહેલા અન્ય એક જગ્યાએ એક પાળેલા કુતરાએ ચાર લોકોને ફાડી ખાધા. મેં સોસાયટીમાં રજૂઆત કરી તો ત્યાં બેઠેલા એક જાડિયા બહેન મને બટકું ભરીને કહે આને વ્હાલ કહેવાય. ફાડી ખાધું ન કહેવાય. વ્હાલમાં કોઈ બટકા થોડું ભરે? બીજા એક નવમાં માળ વાળા બહેન કુતરાને અમારા દાદરા પર પોટ્ટી કરાવતા હતા મેં એમને રોક્યા તો કહે મારા વરને મારા માટે ટાઈમ નથી એટલે કુતરા પાળવા પડે છે. બાકી મને કુતરા પાળવાનો શોખ નથી. સોસાયટી એ જાહેર જગ્યા છે. એમાં કુતરાને ગમે તેમ ન ફરવા દેવાય. પણ આ વાત કોઈ સમજતું નથી. કોઈ કુતરો કોઈકના નાના બાળકને ફાડી ખાય એની રાહ થોડી જોવાય? વળી પેલા અંકલનો કુતરો તો બે ત્રણ નાના બાળકોને કરડી ગયો છે.
અમારી સોસાયટીમાં કુલ બત્રીસ કુતરાઓ છે. અને એમાંથી બધા જ મોઢા પર બાંધ્યા વિના ફરે છે. મ્યુંનીસીપાલીટીમાં રજીસ્ટર કરવાની વાતો કાગળ પર છે. આમેય આપણે ત્યાં હોનારત થયા પછી જ બધા એકશનમાં આવે છે. વળી પાછા એક કુતરા પ્રેમી આંટી મને સમજાવતા હતા કે મને મારા વિકાસ કરતા પણ સોસાયટીના કુતરા પર વધારે લાગણી છે. ગયા જનમમાં આ બધા મારા છોકરા હશે. સ્થૂળ કાયાનો વિકાસ ખરેખર ભયાનક છે. પણ એના માટે કુતરાને છુટ્ટા થોડા મુકાય? કોઈ વાસ્તુ દોષ હોય તો આવું થાય?
જવાબ: માણસને માણસ કરતા કુતરા સાથે વધારે પ્રેમ છે એ વાત સારી લાગે પણ માણસો એવા તે કેવા છે કે આવી સ્થિતિ ઉદ્ભવી? પ્રાણીઓને પણ અનુશાશન શીખવાડવું જોઈએ. પોતાના બાળકોને ન શીખવાડનાર મમ્મીઓને એ ન આવડે એ સ્વાભાવિક છે. પણ કુતરા પાળવા માટેના કેટલાક નિયમોને સમજવા જરૂરી છે. બાકી વ્હાલા લાગતા એ જીવ ઘાતક બની શકે છે. તમે કુતરાને દુર રાખવા માટેનું સ્પ્રે સાથે રાખો. કોઈને રંજાડવા માટે નહિ પણ સુરક્ષા માટે એ જરૂરી છે. આજકાલ સોસાયટી વિષે ઘણા સવાલો જોવા મળે છે. દરેક વ્યક્તિ સામુહિક વિચારના બદલે સ્વાર્થી વિચાર ધરાવે એવું વધી રહ્યું છે. આવા સમય આત્મસુરક્ષા એ જ ઉપાય છે.
વાસ્તુ પ્રમાણે જે જગ્યાએ નૈરુત્ય અને અગ્નિનો દોષ હોય તો આવું થઇ શકે. પણ તમારી સોસાયટીમાં તમે કશું નહિ કરી શકો. જે પ્રકારનું વાતાવરણ છે એ પ્રમાણે માત્ર પોતાને સુખી કરવાનો વિચાર કરો. કુતરા ન પાળવા એવું ન કહેવાય. પણ એને વેક્સીન અને ટ્રેઈનીંગ આપવા જરૂરી છે.
સુચન: જો કોઈ કમિટી મેમ્બર અગ્નિમાં રહેતા હોય તો સોસાયટીમાં ભૌતિકતાની અસર દેખાય.
(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)
