જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટીએ ભારતમાં નારી સન્માનની વાત

માચારપત્ર ખોલીએ અને એવી ભીતિ રહે કે, નવું તો કઈ નહિ થયું હોય ને? એવા સમયે સમાજની તરફ અલગ નજરે જોવાની ઈચ્છા થાય. નવી નિર્ભયા અને નવા આરોપી વિષે વાત થતી રહે છે. અને સહુ મુક પ્રેક્ષકો બનીને જોયા કરે છે. જે દેશમાં નારી પૂજનીય હતી ત્યાં આ સ્થિતિ? આવું કરવા પાછળના વિવિધ કારણો દર્શાવવામાં આવે છે. થોડી મીણબત્તીઓ મુકાય છે અને પછી નવી મીણબત્તીઓ નવા કિસ્સા સાથે પ્રગટે છે. ભારતમાં નારી સન્માનની વાત કરવામાં આવી હતી. તો આવી માનસિક વિકૃતિ શા માટે?

જ્યોતિષ શાસ્ત્રની રીતે આવી માનસિકતા પાછળના કારણો જોઈએ તો એમાંથી એક કારણ મળે છે, શુક્ર મંગળની યુતિ. શુક્ર વિલાસિતા સાથે જોડાયેલો ગ્રહ છે. તેની હકારાત્મકતા, કળા, પ્રણય, રચનાત્મકતા જેવા પાસા સાથે જોડે છે. અને નકારાત્મકતા એટલે કામ, આવેગ જેવા ગુણો. શુક્ર ખુબજ તેજસ્વી ગ્રહ છે. તેથી તે જે ગ્રહ સાથે જોડાય તેની સાથે વિવિધ અસરો આપે છે. શુક્ર વીર્ય સાથે પણ જોડાયેલો છે તેથી વીર્યવાન શબ્દ તેજસ્વી વ્યક્તિ માટે વપરાય છે. અને શુક્રાણુ શબ્દ પણ આ ગ્રહના નામ સાથે જોડાયેલો છે તેવું માનવામાં આવે છે. મંગળ એ રક્તવર્ણ ગ્રહ છે. તે ઉષ્ણતા, ગરમી આવેશ, આવેગ જુસ્સો જેવી બાબતો સાથે જોડાયેલો છે. મંગળ જયારે શુક્ર સાથે યુતિ કરે ત્યારે તે કામેચ્છા ને ઉત્તેજિત કરે છે અથવાતો એવું કહેવાય કે બળતામાં ઘી હોમવાનું કાર્ય કરે છે.

કામ, ક્રોધ, ઉત્કંઠા, ઉત્તેજના, જેવી લાગણીઓ જયારે ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે તેને ધારણ કરનાર વ્યક્તિને પોતાના મન પર કાબુ રહેતો નથી. તે પોતાના વ્યવહારથી મળનારા સારા નરસા પરિણામો વિષે વિચારવાની ક્ષમતા ખોઈ બેસે છે. માત્ર શારીરિક જરૂરિયાતો તેના મન પર હાવી થઇ જાય છે. અશુભ મંગળ અને શુક્રની યુતિ હોય ત્યારે આવું થવાની સંભાવના વધી જાય છે. ક્યારેક તેમના પરિવારજનો પણ આની નકારાત્મક અસર આવે તેવું બને. આવી યુતિના જાતકો વારંવાર અસત્યનું આચરણ કરતા જોવા મળે તેવું પણ બને. વ્યક્તિ જયારે અન્યની લાગણીનો વિચાર કાર્ય વિના અચાનક ભાગીને લગ્ન કરે ત્યારે પણ આવી યુતિ હોઈ શકે. કારણકે સાચો પ્રેમ સમર્પણ અને સમજ દર્શાવે છે. અને ભૌતિક પ્રેમ માત્ર અપેક્ષા.

મંગળ શુક્રની નકરાત્મક યુતિ હોય તેવી વ્યક્તિની શારીરિક ભૂખ વધારે હોવાના કારણે તેના વિવિધ પ્રકારના વ્યક્તિત્વ પણ હોઈ શકે. ક્યારેક તેઓ એક કરતા વધારે લોકો સાથે સંબંધો ધરાવતા હોય તેવું બને. આવી વ્યક્તિઓને મોટા ભાગના સંબંધોના કેન્દ્રમાં ભૌતિક સુખની અપેક્ષા જોવા મળે છે. ક્યારેક એવી ફરિયાદ સંભાળવા મળતી હોય છે કે પરીવારની જ કોઈવ્યક્તિએ છેડતી કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે આવી બાબત તપાસી શકાય. આવી વ્યક્તિઓની આસપાસ બાળકોને એકલા રખાય કે નહિ તે પણ એક સવાલ છે. હાઈ વે ફિલ્મ માં આ બાબતનું નિરૂપણ કરવામાં આવેલું છે. શું અબાલ વૃદ્ધ એ સહુ મનોરંજનનું સાધન માત્ર છે? પણ શુક્ર મંગળની નકારાત્મક યુતિ હોય તો એ વ્યક્તિને આવા વિચારો ઓછા આવે છે.

શુક્ર મંગળની હકારાત્મક યુતિ માનવીને વૈભવી જીવન અને મોજશોખ આપે છે. મોટા ભાગે આવી વ્યક્તિઓના ચારિત્ર પર કોઈ શંકા કરતુ નથી. વૈભવની પાછળ વિલાસ શબ્દ ન લાગે તે જરૂરી છે. જો શુક્ર- મંગળ-રાહુની યુતિ હોય તો તે કલંકિત માનસિકતા આપે છે. જેના પરિણામો આપણે વિચારી શકીએ છીએ.જો શુક્ર મંગળ ની અશુભ યુતિ સાથે સૂર્ય રાહુ જોડાય તો બદનામી થાય છે. સૂર્યના પ્રકાશને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ વિજાતીય વ્યક્તિથી કલંક લાગી શકે છે. પ્રતિષ્ઠા ઓછી થાય તેવા સંજોગો ઉદ્ભવે. જો આવી યુતિ હોય તો સવારે વહેલા ઉઠી સૂર્યને અર્ઘ આપવાથી સારું રહે. બુધ વારે શિવલિંગ પર દહીંમાં કાળા તલથી અભિષેક પણ કરવો જોઈએ. કોઈ પણ લાગણી પણ પર સવાર થાય તે પહેલા તેને સમજવી જરૂરી છે. અને તે શક્તિ જ મહાન બનાવી શકશે.