રાયપુરઃ છત્તીસગઢ સરકારે ગુરુવારે વિધાનસભામાં ‘છત્તીસગઢ ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક, 2026’ પસાર કર્યું હતું. આ વિધેયકમાં જબરદસ્તી, લાલચ, છેતરપિંડી અથવા ખોટી માહિતી આપી ધર્મ પરિવર્તન કરાવવાના તેમ જ સામૂહિક ધર્માંતરણના કેસોમાં આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપમુખ્ય મંત્રી વિજય શર્માએ વિધાનસભામાં આ વિધેયક રજૂ કર્યું હતું.
આ વિધેયક અનુસાર ગેરકાયદે ધર્માંતરણ કરાવનારાઓ માટે આકરી સજાની જોગવાઈ છે. સામૂહિક ધર્માંતરણના કેસોમાં આજીવન કારાવાસ સુધીની સજા થઈ શકે છે, જ્યારે સગીરો, મહિલાઓ, માનસિક રીતે નબળા લોકો તેમ જ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ સાથે જોડાયેલા કેસોમાં 20 વર્ષ સુધીની કેદની જોગવાઈ છે. કોંગ્રેસના સભ્યોની ગેરહાજરીમાં વિધેયક પર ચર્ચા ચાલુ રહી. ઉપ મુખ્ય મંત્રીએ વિધેયક રજૂ કરવાની મંજૂરી માગતા કોંગ્રેસે તેને પ્રવર સમિતિ પાસે મોકલવાની માગ કરી હતી.
વિધાનસભા અધ્યક્ષે આ માગ નામંજૂર કરતાં કોંગ્રેસ સભ્યોએ વિધાનસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો. પ્રસ્તાવિત કાયદો હાલના ‘છત્તીસગઢ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 1968’ને બદલી દેશે, જે રાજ્ય રચના સમયે મધ્ય પ્રદેશમાંથી અપનાવવામાં આવ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે હાલના કાયદામાં માત્ર ધર્માંતરણ પછી જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવાની જ જોગવાઈ છે અને જબરદસ્તી ધર્માંતરણને જામીનપાત્ર તથા તુલનાત્મક રીતે હળવી સજા ધરાવતો ગુનો માનવામાં આવ્યો છે.
નવા વિધેયકમાં બળજબરી, અયોગ્ય પ્રભાવ, લાલચ, ખોટા નિવેદન, કપટપૂર્ણ રીતો અથવા લગ્ન દ્વારા કરાયેલા ગેરકાયદે ધર્માંતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોશિયલ મિડિયા અને ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા કરાયેલા ધર્માંતરણને પણ કાયદાની અંદર લાવવામાં આવ્યા છે. નવા કાયદા હેઠળ તમામ ગુનાઓ સંજ્ઞેય અને બિનજામીનપાત્ર રહેશે. પોતાના મૂળ ધર્મમાં પરત ફરવું ધર્માંતરણ ગણાશે નહીં.
આ વિધેયક મુજબ ‘લાલચ’માં પૈસા, ભેટ, નોકરી, મફત શિક્ષણ અથવા આરોગ્ય સેવા, સારા જીવનનો વાયદો અથવા લગ્નનો સમાવેશ થાય છે.
30 દિવસમાં વાંધો નોંધાવી શકાશે
પ્રસ્તાવિત ધર્માંતરણની માહિતી સાત દિવસની અંદર જાહેર કરવામાં આવશે અને 30 દિવસની અંદર લોકો આપત્તિ નોંધાવી શકશે. તપાસ બાદ અંતિમ આદેશ આપવામાં આવશે. કાયદાનું ઉલ્લંઘન કરવા માટે ઓછામાં ઓછા 7 વર્ષની સજા (જે 10 વર્ષ સુધી વધી શકે) અને ઓછામાં ઓછા 5 લાખ રૂપિયાનો દંડ રહેશે. ગંભીર કેસોમાં 10થી 20 વર્ષની કેદ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. સામૂહિક ધર્માંતરણના કેસોમાં 10 વર્ષથી આજીવન કેદ તથા 25 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
વિધેયકમાં પીડિતોને 10 લાખ રૂપિયા સુધી વળતર આપવાની અને કેસોની સુનાવણી માટે વિશેષ અદાલતો રચવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.




