ગિલગિટ-બાલ્ટિસ્તાનના વિવાદીત પ્રદેશને પોતાનો બનાવવા પાક. સરકારની નવી ચાલ

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન એક તરફ ભારતના પીએમ મોદી સાથે સક્રિય વાટાઘાટો શરુ કરવાની વાતો કરે છે અને બીજી બાજુ ખતરનાક ચાલ ચાલી રહ્યાં છે. હજી ગઈ કાલે જ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહીદ આફ્રિદીએ કહ્યું હતું કે, પાકિસ્તાન તેના ચાર પ્રાંતને સંભાળી શકતું નથી તો કશ્મીર શું સંભાળશે. આ ઘટનાક્રમ વચ્ચે પાકિસ્તાને વિવાદીત ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારને કાયદાકિય માન્યતા આપવા હિલચાલ શરુ કરી છે.પાકિસ્તાન સરકારે આજે ગિલગિટ બાલ્ટિસ્તાન ક્ષેત્રનાં લીગસ સ્ટેટસની સમીક્ષા માટે એક કમિટીની રચના કરી છે. ભારત આ ક્ષેત્રને જમ્મુ-કશ્મીરનો ભાગ બનાવવા માગે છે. નોર્ધન એરિયાઝનાં નામે ચર્ચિત કશ્મીરનાં આ ભૂભાગને હવે પાકિસ્તાન પોતાનું પાંચમું ક્ષેત્ર જાહેર કરવાની યોજના બનાવી રહ્યું છે. જો કે ભારત તેનો વિરોધ કરી રહ્યું છે.

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ સાકિબ નિસારની આગેવાનીવાળી સાત જજોની બેંચે ઓક્ટોબરમાં પાકિસ્તાન સરકારને નિર્દેશ આપ્યો હતો કે, તેઓ બીજા પ્રાંતોની સમાંતર લાવવા માટે આ ક્ષેત્રનાં લીગલ સ્ટેટસની સમીક્ષા કરે.

પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે આ અંગે નિર્ણય કરતાં 10 સદસ્યોની કમિટીની રચના કરી છે. પાકિસ્તાનનાં સુપ્રીમ કોર્ટે પણ તત્કાલીન નવાઝ શરીફ સરકાર દ્વારા રચાયેલી વિશેષ પેનલની સલાહનો સ્વીકાર કરતાં નિર્દેશ આપ્યો હતો. આ પેનલ ક્ષેત્રના સંવૈધાનિક અને તંત્રના સુધારા માટે રચવામાં આવી હતી.

બેન્ચના એક સદસ્યએ આ વાત પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, જો ભારત પોતાના સંવિધાનનાં આર્ટિકલ 370માં સંશોધન કરીને જમ્મુ-કશ્મીરને વિશેષ દરજ્જો આપી શકે, તો પાકિસ્તાન ગિલગિટ બાલ્ટિસ્તાનને અસ્થાયી પ્રાંતીય દરજ્જો શા માટે ન આપી શકે? સાથે જ પાકિસ્તાનની વડી અદાલતે એમ પણ કહ્યું કે, ગિલગિટ બાલ્ટિસ્તાનનાં લોકો પણ પાકિસ્તાનનાં છે અને તેમને પણ તમામ અધિકારો મળે તે જરૂરી છે.