18 નગરપાલિકાઓમાં NA સહિતની મહેસૂલપ્રક્રિયા ઝડપી બનાવવા ઊભી કરાઈ ખાસ વ્યવસ્થા

ગાંધીનગર-મહેસૂલપ્રધાન કૌશિક પટેલે મહત્ત્વનો નિર્ણય જાહેર કરતાં જણાવ્યું કે, પ્રજાલક્ષી કલ્યાણકારી વિવિધ યોજનાઓમાં નોંધપાત્ર વધારો થવાથી સ્થાનિકકક્ષાએ સરળતાથી અને નજીકના અંતરે મહેસૂલી સેવા મળે તે માટે 1 લાખથી વધુ વસ્તી ધરાવતી ‘અ’ વર્ગની 18 નગરપાલિકા વિસ્તારોમાં હાલની મામલતદાર કચેરીઓનું વિભાજન કરી મામલતદાર (ગ્રામ્ય) અને મામલતદાર (શહેર) એમ બે અલગ કચેરીઓ ઉભી કરવામાં આવશે.

સરકારે નિર્ણય લીધો છે તે અન્વયે તાત્કાલીક અસરથી 18 નગરપાલિકા વિસ્તારો (1) અમરેલી (2) ભૂજ (3) કલોલ (4) વેરાવળ (5) ગોધરા (6) પાટણ (7) પોરબંદર (8) પાલનપુર (9) ડીસા (10) ભરૂચ (11) બોટાદ (12) મહેસાણા (13) જેતપુર (14) ગોંડલ (15) મોરબી (16) વાપી (17) વલસાડ (18) સુરેન્દ્રનગર મામલતદાર (શહેર)ની અલગ કચેરીઓ ઉભી કરવામાં આવશે. મામલતદાર (શહેર)ની નવી જગ્યાઓ અને કચેરીના નિર્ણયથી શહેરી વિસ્તારોના નાગરીકોને મહેસૂલી સેવાઓ મેળવવામાં વધુ સુગમતા રહેશે.

પટેલે જણાવ્યું કે, બિનખેતી બાબતે રાજ્ય સરકાર દ્વારા લીધેલા નિર્ણયોને આગળ વધારતા કલેકટર કચેરી કક્ષાએ સત્તાનું વિકેન્દ્રીકરણ કરી બિનખેતી પરવાનગીની સત્તાઓ કલેકટરકક્ષાએ તથા નિવાસી અધિક કલેકટરકક્ષાએ વહેંચવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધેલ છે. જે મુજબ C અને D કક્ષાની નગરપાલિકાઓ, છેલ્લી વસ્તી ગણતરી મુજબ રાજ્યના 3 હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામોમાં અને  1 એકર સુધીની જમીન મર્યાદામાં બિનખેતી પરવાનગી આપવાની સત્તા નિવાસી અધિક કલેકટરને સોંપવામાં આવેલ છે જ્યારે તે સિવાયના તમામ વિસ્તારો માટે બિનખેતી પરવાનગી આપવાની સત્તા કલેકટરશ્રી હસ્તક રાખવામાં આવેલ છે.

મહેસૂલી પ્રક્રિયાનું ડીઝીટાઈઝેશન થાય તે પ્રક્રિયાને આગળ વધારતા બિનખેતી પરવાનગી મેળવ્યાં બાદ સિસ્ટમ જનરેટેડ બિનખેતી પરવાનગી હુકમની સીધી જ નોંધ ઈ-ધરામાં થાય તેવી વ્યવસ્થા ફેબ્રુઆરી 2019થી અમલી બનશે.