2654 કરોડનું કૌભાંડઃ અમિત ભટનાગરના 4 સ્થળો પર ઈડીના દરોડા

અમદાવાદ– ડાયમંડ પાવર કંપની દ્વારા 2008થી જાહેર અને ખાનગી બેંકોના કોન્સોર્ટિયમનો ફાયદો ઉઠાવી આચરાયેલા રૂપિયા 2654 કરોડના કૌભાંડમાં સીબીઆઈએ મહત્ત્વની કામગીરી કરતાં દરોડા પાડ્યાં હતાં. જે બાદ એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા અમિત ભટનાગરના અમદાવાદ અને વડોદરા નિવાસસ્થાને દરોડાની કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો હતો.આ કૌભાંડમાં ડાયમંડ પાવર કંપની અને અમિત ભટનાગરના સ્થળો પર દરોડાની કાર્યવાહીમાં અનેક મહત્ત્વના પુરાવા મળે તેવી સંભાવના છે.

કંપની અને ભટનાગર દ્રારા કથિતપણે ક્રેડિટ સીમાની પ્રારંભિક મંજૂરી સમયે આરબીઆઈ ડીફોલ્ટર્સ લિસ્ટ અને ઇસીજીસી સેશન્સ લિસ્ટમાં પહેલાંથી હોવા છતાં ટર્મ લોન અને ક્રેડિટ સવલતોનો ફાયદો ઉઠાવાયો હતો. વડોદરામાં ઉદ્યોગપતિ તરીકે મોટું નામ ધરાવતાં અમિત ભટનાગરની કંપની અને નિવાસસ્થાનમાં ઇડીના દરોડા આ સંદર્ભે પડ્યાં હતાં. ગોરવામાં આવેલી બીઆઈડીસી ઓફિસ અને સેવાસીમાં આવેલા નિવાસસ્થાન સહિત કુલ 4 સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.અમિત ભટનાગરે કરેલા 2654 કરોડના કૌભાંડમાં જે બેંકોના નાણાં સલવાયાં છે, તેમાં બેન્ક ઓફ ઇન્ડિયા Rs.670.51 કરોડ, બેન્ક ઓફ બરોડા Rs.348.99 કરોડ, આઇસીઆઇસી બેન્ક Rs.279.46 કરોડ, અલાહાબાદ બેન્ક Rs.227.96 કરોડ, એક્સિસ બેન્ક Rs.255.32 કરોડ, દેના બેન્ક Rs.177.19 કરોડ, એસબીઆઇ Rs.266.37 કરોડ, આઇઓબી Rs.71.59 કરોડ, આઇએફસીઆઇ Rs.58.53 કરોડ, એક્ઝિમ બેન્ક ઓફ ઇન્ડિયા Rs.81.92 કરોડ, કોર્પોરેશન બેન્ક Rs.109.12 કરોડ, કોર્પોરેશન બેન્ક-એનસીડી Rs.8.22 કરોડ, દેના બેન્ક એમ્પ્લોઇપેન્શન ફંડ-એનસીડી Rs.9.24 કરોડ, દેના બેન્ક એમ્પ્લોયી ગ્રેચ્યુઇટી ફંડ-એનસીડી Rs.4.11 કરોડ, ટાટા કેપિટલ ફાઇનાન્શિઅલ સર્વિસ લિમિટેડ-એનસીડી Rs.19.90 કરોડ, એલ એન્ડ ટી ફાઇનાન્સ લિમિટેડ-એનસીડી Rs.35.24 કરોડ, બેન્ક ઓફ મહારાષ્ટ્ર-એનસીડી Rs.11.87 કરોડ, સિન્ડિકેટ બેન્ક-એનસીડી Rs.11.26 કરોડ, સીએસઇબી ગ્રેચ્યુઇટી એન્ડ પેન્શન ફંડ ટ્રસ્ટ-એનસીડી Rs.7.60 કરોડનો સમાવેશ થાય છે.