મુંબઈ – હિન્દી ટીવી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’એ વધુ સિદ્ધિ હાંસલ કરી છે. એણે 2500 એપિસોડ્સનો આંકડો પાર કરી લીધો છે. આ પ્રસંગને સિરિયલની સમગ્ર ટીમે પાર્ટી યોજી, કેક કાપીને સેલિબ્રેટ કર્યો હતો.
આ શોના ક્રિએટર અને નિર્માતા અસિતકુમાર મોદીએ કહ્યું કે, સિરિયલનો પ્રત્યેક એપિસોડ સમગ્ર ટીમના પ્રેમ, પરવરિશ અને સમર્પણનું પરિણામ છે. આ સંપૂર્ણ સફરમાં અમારી ઘણી સારી યાદોં છે અને આનંદની ક્ષણો છે. હું આને માટે મારી ટીમનો તેણે રાખેલા ફોકસ તથા અમારા દર્શકોનો એમણે બતાવેલા સમર્થન અને પ્રેમ માટે આભારી છું.
જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશીએ કહ્યું કે, દર્શકોએ અમને ભરપૂર પ્રેમ આપ્યો છે એટલે જ આ બધું શક્ય બની શક્યું છે. આ શો તથા જેઠાલાલનું પાત્ર મારા દિલની બહુ નિકટ છે. અમારા નિર્માતા અસિતભાઈ સતત આ શોમાં સંપૂર્ણ રીતે ઈન્વોલ્વ રહ્યા છે. એને લીધે જ દરેક કામ સમયસર થાય છે અને દરેક કલાકાર પોતાનું કામ સમર્પણની ભાવના સાથે કરે છે.
નીલા ટેલીફિલ્મ્સ દ્વારા નિર્મિત આ સિરિયલ સબ ટીવી પર દર સોમવારથી શુક્રવારે રાતે 8.30 વાગ્યે પ્રસારિત કરવામાં આવે છે.