કચ્છી માડુ ફિલ્મ નિર્માતા જયંતીલાલ ગડા (અય્યારી) આવ્યા સહગુજરાતી સંજય ભણસાલી (પદ્માવત)ની વહારે

મુંબઈ – આ મહિને બોક્સ ઓફિસ પર બોલીવૂડની બે મોટી ફિલ્મ વચ્ચે ટક્કર થવાની છે. સંજય લીલા ભણસાલીની ‘પદ્માવત’ અને અક્ષય કુમાર અભિનીત ‘પેડમેન’ની. આ બંને ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે.

જયંતીલાલ ગડા અને સંજય લીલા ભણસાલી

પરંતુ, એક અન્ય હિન્દી ફિલ્મ ‘અય્યારી’ ફિલ્મે તેની રિલીઝ તારીખને પાછી ઠેલી છે. હવે તે 26 જાન્યુઆરીને બદલે 9 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવશે, કારણ કે ‘અય્યારી’ના નિર્માતા ‘પદ્માવત’ સાથે કોઈ પ્રકારની સ્પર્ધામાં ઉતરવા માગતા નથી. એ વિશે ‘અય્યારી’ના નિર્માતાએ ‘ચિત્રલેખા’ને એક સ્પષ્ટતા કરી છે.

મનોજ બાજપાઈ, સિદ્ધાર્થ મલ્હોત્રાને લશ્કરી અધિકારીઓની ભૂમિકામાં ચમકાવતી ‘અય્યારી’ની નિર્માતા પોપ્યૂલર એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક (PEN) ઈન્ડિયા લિમિટેડના માલિક જયંતિલાલ ગડાએ ‘ચિત્રલેખા’ને જણાવ્યું છે કે, ‘મેં જાણ્યું કે ‘પદ્માવત’ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. તેથી મારા મિત્ર અને સાથી ગુજરાતી સર્જક સંજય લીલા ભણસાલીને મદદરૂપ થવા માટે અમે અમારી બે ફિલ્મની તારીખને પાછળ ઠેલી છે. અમે અમારી ગુજરાતી ફિલ્મ ‘ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ’ને આ વર્ષની 23 ફેબ્રુઆરીએ રિલીઝ કરીશું જ્યારે ‘અય્યારી’ને 9 ફેબ્રુઆરીએ રિલીઝ કરીશું. અમે આ નિર્ણય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હિતને પણ ધ્યાનમાં રાખીને લીધો છે.’