બજેટ 2018: ચૂંટણી પહેલા સબસિડીનું ટ્રમ્પ કાર્ડ ખોલશે મોદી સરકાર

નવી દિલ્હી- ચૂંટણી પહેલા તમામ પ્રકારની સબસિડીની જાહેરાત કરવાની સામાન્ય રીતે તમામ સરકારોમાં પરંપરા રહી છે. તમામ સરકારના નાણાપ્રધાનો સામાન્ય જનતાને આકર્ષિત કરવા માટે લોભામણી જાહેરાતો કરે છે. સરકારો સબસિડીનો ઉપયોગ ટ્રમ્પ કાર્ડ તરીકે કરે છે. 2014માં સત્તામાં આવ્યા બાદથી મોદી સરકારે કંઈક અલગ દિશા પકડી છે અને અત્યારસુધીમાં આ સરકારે મોટા પાયે સબસિડીની જાહેરાત કરવાની રીતને બદલી છે. ત્યારે આવા સમયે આ બજેટમાં જોવાની વાત એ હશે કે સરકાર સબસિડીના મોરચે કયા પ્રકારના પગલા ભરે છે.

કુલ ખર્ચમાં સબસિડીના ટકા 2014-15ના 15.52 ટકાના આંકડાની તુલનામાં 2017-18માં 11.2 ટકા થઈ ગયો. સબસિડીના શેર 2012-13માં સૌથી વધારે થઈ ગયા હતા, જ્યારે યૂપીએ સરકારને 2014માં જનાદેશનો સામનો કરવાનો હતો. જો કે ગુજરાતની ચૂંટણી બાદ અરૂણ જેટલી આ બજેટમાં કોઈ અન્ય રસ્તો અપનાવી શકે છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં બીજેપીના સમર્થનમાં મોટી ઉણપ આવી છે. તો આ સિવાય મધ્ય પ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ 2019ની ચૂંટણી પહેલા ખેડૂતોના આંદોલનો જોવા મળ્યા છે.

જો સરકાર ગ્રામીણ સેક્ટરમાં સબસિડી પર ધ્યાન આપે તો શક્યતાઓ છે કે એગ્રિકલ્ચર શબ્દ ફરીથી એકવાર બજેટ સ્પીચમાં ટોચ પર હશે. 1960ના મધ્યાંતર સુધી બજેટના ભાષણોમાં એગ્રીકલ્ચર શબ્દનો ઉપયોગ ઓછો થતો હતો. પરંતુ તેમાં બદલાવ આવ્યો અને જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે 1965માં જય જવાન જય કિસાનનું સુત્ર આપ્યું. જો કે ત્યારબાદ પણ સદીની શરૂઆત સુધી એગ્રિકલ્ચર શબ્દ બજેટના ભાષણોમાં ઓછો જોવા મળતો હતો.

નાણાપ્રધાનોના શબ્દકોષમાં કૃષિની જગ્યાએ ગ્રામીણ સેક્ટર જેવો શબ્દ જોવા મળ્યો. મોદી સરકારે 2022 સુધી ખેડુતોની આવકને બેગણી કરવાની વાત કરી હતી. ત્યારે આવા સમયે પૂર્ણતઃ સંભાવનાઓ છે કે એનડીએ રાજમાં પણ ખેડુતોને સબસિડી આપવાની પરંપરાને આગળ ધપાવવામાં આવી શકે છે.