દિવાળી એટલે પ્રકાશ-પર્વ! ભારત વર્ષમાં ધનતેરસના દિવસથી દિવાળી ઉત્સવનો શુભારંભ થઇ જાય છે. ધનતેરસ એટલે સમૃદ્ધિ, સંપત્તિનો દિવસ! પ્રચુરતા અને વૈભવની અનુભૂતિ કરવાનો અવસર એટલે ધનતેરસ! તમારા માટે જે કંઈ જરૂરી છે, તે તમને મળી જ જશે એ વિશ્વાસ સાથે પ્રભુ પ્રત્યે કૃતજ્ઞ બની જવાનો આ દિવસ છે. જીવનમાં તમને જે જે પ્રાપ્ત થયું છે, તે સઘળા આશીર્વાદનું સ્મરણ કરવાનો આ દિવસ છે. અને એટલે જ, બધાં જ ઘરેણાં, આભૂષણોને તિજોરીમાંથી બહાર કાઢીને તેની પૂજા કરવાની પ્રથા છે. પોતાની પાસે આટલી સંપત્તિ, લક્ષ્મી છે, તેનું સદ્ભાવ પૂર્વક પૂજન કરીને પુન:સ્મરણ કરવાથી મન પ્રચુરતા અને વિપુલતાનો ભાવ અનુભવે છે. જો તમે ઓછપ, ઉણપ અને અધૂરપ પ્રતિ ધ્યાન આપશો તો તે વધશે, પરંતુ જો તમે તમારી પાસે જે છે તેની વિપુલતા પ્રતિ ધ્યાન આપશો તો જીવનમાં વિપુલતા વધશે. ચાણક્ય એ અર્થશાસ્ત્રમાં કહ્યું છે કે, ધર્મ નો આધાર અર્થ- સમૃદ્ધિ છે.
એક દીવો ક્યારે પ્રકાશ આપી શકે? જયારે તેની વાટ તેલમાં ડૂબેલી હોય! પણ જો વાટ પુરેપુરી તેલમાં સંતૃપ્ત થઇ ગઈ હોય તો તે પણ તે પ્રકાશ આપી શક્તિ નથી. તો એ જ રીતે તમારે સંસારમાં પણ રહેવાનું છે અને તેનાથી પર પણ રહેવાનું છે. જો તમે જગતની ભૌતિકતામાં જ ડૂબી જશો તો તમે જ્ઞાન અને આનંદને પ્રાપ્ત નહીં કરી શકો. સંસારમાં રહીને, ભૌતિકતા અને ઉપભોગ વૃત્તિ થી દૂર રહેવાથી, જલકમલવત્ રહેવાથી આનંદ અને જ્ઞાન નો પ્રકાશ જીવનમાં સ્ફુરિત થાય છે. આપણાં જીવનમાં જ્ઞાન પ્રકાશ ની ઉપલબ્ધી નો સ્મરણોત્સવ એટલે દિવાળી!
દીપ પ્રાક્ટ્ય નો હેતુ માત્ર ગૃહ સુશોભન જ નથી, પ્રતીકાત્મક રૂપે જીવનનું પરમ સત્ય વ્યક્ત કરવું તે પણ દીપ પ્રાક્ટય નો મુખ્ય આશય છે. સહુનાં હૃદયમાં પ્રેમ અને જ્ઞાનનો દીપ પ્રગટે અને મુખ પર હાસ્ય ઝળહળે! દિવાળીને દીપાવલી કહીએ છીએ, તેનો અર્થ થાય છે, પંક્તિબદ્ધ દીવડાઓ ની ઉપસ્થિતિ! જીવન અનેક પાસાં થી બન્યું છે, અને જીવનના પ્રત્યેક પાસાં પર પ્રકાશ પડે તે ખૂબ આવશ્યક છે, તો જ જીવન સંપૂર્ણ રીતે અભિવ્યક્ત થઇ શકશે. જીવનનાં દરેક પરિમાણ પ્રત્યે ધ્યાન આપો, તેને પ્રકાશિત કરો, તેનું સ્મરણ દીવડાની હારમાળા દ્વારા થાય છે. જ્ઞાનની જ્યોતિ થકી જીવનનાં બધાં પાસાં ઝળહળે તેવું અહીં અભિપ્રેત છે. પ્રત્યેક દીપ તમે પ્રગટાવો છો તે સૂચવે છે કે દરેક વ્યક્તિ પાસે કંઈ તો સારા ગુણ, કૌશલ્ય હોય જ છે. કોઈ વ્યક્તિ પાસે સહન શક્તિ હોય છે, કોઈ પાસે પ્રેમ, કોઈ પાસે સામર્થ્ય, કોઈ પાસે ઉદારતા તો કોઈ પાસે લોકોને જોડવાની કલા! દીવો, તમારી અંદર ગોપિત રહેલ આ ગુણોનું પ્રતીક છે.
માત્ર એક જ દીવો પ્રગટાવીને સંતોષ ન માનો, હજારો દીપ પ્રગટાવો. અજ્ઞાનના અંધકારને દૂર કરવા માટે તમારે અનેક દીવડાઓ પ્રગટાવવા પડશે. તમારી અંદર જ્ઞાનનો પ્રકાશ તમારાં જીવનને જ્યોતિર્મય બનાવશે. જીવનનાં બધાં જ પરિમાણો દીપ્તીવંત બને, એ ઘટના એટલે દિવાળી! ભૂતકાળની ઘટનાઓને ભૂલી જઈએ, પસ્તાવો ન કરીએ અને ભવિષ્યની ચિંતા કરીને ભયભીત ન થઈએ, વર્તમાન ક્ષણનો નિરંતર પ્રકાશ જીવનમાં રહે, તે દિવાળી પર્વનો સંદેશ છે. આખાં વર્ષ દરમ્યાન થયેલા કડવા અનુભવોની સ્મૃતિ અને નકારાત્મકતા ને ત્યાગી દેવાનો આ સમય છે. જ્ઞાન સાથેનાં પન:સંધાનનો આ સમય છે. એક તદ્દન નવા પ્રારંભનો આ સમય છે. ઉત્સવ એ આત્માનો સ્વભાવ છે. પ્રાચીન ઋષિઓએ પ્રત્યેક ઉત્સવ સાથે એક પવિત્રતાને જોડી દીધી છે, જેથી તમે પ્રવૃત્તિ ની અધિકતામાં, તમારાં કેન્દ્રથી દૂર ન થઇ જાઓ. દિવ્યતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની કૃતિ એટલે પૂજા! પૂજાથી ઉત્સવમાં ઊંડાણ અને અર્થ સ્ફુરે છે. જેઓ અધ્યાત્મના પથ પર નથી તેમને માટે દિવાળી વર્ષમાં એક જ વાર આવે છે, જેઓ અધ્યાત્મના પથ પર છે, તેઓ માટે પ્રત્યેક ક્ષણ દિવાળી છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)