ભક્તિ ગેંદ ચોગાન કી, ભાવે કોઈ લે જાય, કહૈ કબીર કુછ ભેદ નહિ, કહાં રંક કહાં રાય. |
સમાજમાં પૈસાદાર, મોભાદાર, સત્તાધારી વ્યક્તિ મોજશોખમાં જીવન વ્યતિત કરવા પ્રેરાય છે. ગરીબ વ્યક્તિ કર્મનું ફળ માની યાતના સહન કરતાં કરતાં આવતા જન્મે સુખ મળશે તેવી આશામાં દિવસો વિતાવે છે.
કબીરજી કહે છે કે, ભક્તિ તો મોટા મેદાનમાં રાખેલા બોલ-દડા સમાન છે. જેને ઈચ્છા થાય તે લઈ જાય. ભક્તિની પાત્રતામાં ધનિક કે ગરીબના ભેદ છે જ નહીં.
ભારતીય ફિલસૂફીની અજોડ સિદ્ધિ એ છે કે તે તમામ શક્યતાઓને સ્વીકારે છે. આ અનંત વિકલ્પોમાં ઘણા ગૂંચવાય છે પણ ગૂંચવણ ઉકેલે તે ગુરુના ન્યાયે કબીર સાહેબ ભક્તિ કરવા પ્રેરે છે. કબીરજી ધર્મગુરુ કરતાં વિશેષ છે. તેમનું કાર્ય દુઃખી વ્યક્તિને અને હતપ્રભ સમાજને ચેતનવંતો બનાવવાનું છે.
આધુનિક યુગના અનેક સુધારાઓ કબીરજીની સાખીમાં તાણાવાણારૂપે વણાયેલા જોઈ શકાય છે. કમનસીબી એ વાતની છે કે, 450 વર્ષ કરતાં વધારે સમય બાદ પણ સમાજની રૂઢિઓ, બદીઓ, દંભ કે પાખંડ હટવાનું નામ નથી લેતાં – ક્યાંક ક્યાંક તો તે મજબૂત બનતા જણાય છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
