કોઈ પણ સંઘર્ષમાં, યુદ્ધમાં કે કસોટીમાં વિજયી ક્યારે થવાય? છેવટે જેમ સૂર્યને છાબડે ઢાંકી શકાતો નથી તેમ સત્યને કાયમી ધોરણે દબાવી શકાતું નથી, એ ક્યારેક તો સપાટી પર આવે જ છે એટલે તમારો સંઘર્ષ સત્ય માટે હોવો જોઈએ, ધર્મ જાળવી રાખવા માટે હોવો જોઈએ.
દા.ત. નિયમ પ્રમાણે જ નાણા વપરાય તે જોવાની એકાઉન્ટન્ટની ફરજ છે. ગમે કે ના ગમે તો પણ સહકર્મી ભલે તમારો મિત્ર હોય તો તેની સાથે પણ આ નિયમ પ્રમાણે ચાલવાની તમારી ફરજ છે, એ જ તમારો ધર્મ છે. તમારે પક્ષે પારદર્શિતા અને સરળતા હોવી જોઈએ.
અને છેલ્લે, આ કુલ સમય દરમિયાન ઈશ્વર પરનો વિશ્વાસ એટલે કે શ્રીકૃષ્ણ તમારા કાર્યરથનું સંચાલન કરતાં હોવા જોઈએ. એટલે જ કહ્યું છે કે,
यतः सत्यं यतो धर्मो,
यतो ह्रीरार्जवं यतःl
ततो भवति गोविन्दो,
यतः कृष्णस्ततो जय:ll
અર્થાત જ્યાં સત્ય, ધર્મ, લજ્જા અને સરળતા છે ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ વસે છે અને જ્યાં શ્રીકૃષ્ણ વસે છે ત્યાં હંમેશા વિજય થાય છે.
કંપની હોય કે કુટુંબ, મિત્ર હોય કે હરીફ – આ સિદ્ધાંતો જીવનમાં ઉતારશો તો વિજય તમારો છે, કારણ કે, ‘તતો ભવતિ ગોવિંદો’, ભગવાન ગોવિંદ તમારી સાથે જ રહેશે. બરાબર અર્જુનના સારથીની જેમ.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
