યશવી, 28 વર્ષની ઉત્સાહી યુવતી, આઈટી કંપનીમાં ઉચ્ચ હોદ્દે નોકરી કરે, ઘર-પરિવાર સંભાળે. ચાર વર્ષ પહેલાં ધાર્મિક સાથે જન્માક્ષર મેળવી લગ્ન થયાં. બંનેનો પ્રેમભર્યો સંબંધ, સાથે લંચ-ડિનર, પ્રસંગોમાં એકબીજાની સાથે રહેવું, દેશ-વિદેશ ફરવાનો શોખ એમની જિંદગી ખુશહાલ રાખતો. શરૂઆતમાં ધાર્મિકનાં માતા-પિતા યશવીનાં વખાણ કરતાં, પણ માતા રીટાબહેનને યશવીની આશાવાદી વૃત્તિ ખટકતી. એ યશવીને નિયંત્રણમાં રાખવા માગતાં. ધાર્મિકને એની વિરુદ્ધ ભડકાવતાં.
એક સાંજે યશવી અને ધાર્મિક ગાર્ડનમાં બેઠાં હતાં ત્યારે રીટાબહેને યશવીને ટોણો માર્યો, “ઘરનું ધ્યાન નથી, આખો દિવસ ઓફિસની ચિંતા.” યશવીએ શાંતિથી જવાબ આપ્યો, પણ રીટાબહેન ગુસ્સે થઈ ગયાં. એમને લાગ્યું કે યશવી એમની સામે બોલે છે. આ નાની ઘટનાથી રોજિંદો તણાવ શરૂ થયો. રીટાબહેનની દખલગીરીએ ધાર્મિકને યશવીથી દૂર કર્યો. ધાર્મિક, જે શરૂઆતમાં યશવીની સાથે હતો એ હવે માતાની સામે ચૂપ રહેવા લાગ્યો. યશવીના પ્રશ્નોના જવાબમાં એની ચૂપકીએ સંબંધમાં દરાર પાડી. થોડા મહિનામાં વાતચીત બંધ થઈ અને રીટાબહેનની ટીકાએ ધાર્મિકના મનમાં યશવીને સમસ્યાનું કારણ બનાવી.
એક રાત્રે ધાર્મિકે કહ્યું, “આપણે હવે સાથે નહીં ચાલી શકીએ.” યશવી સ્તબ્ધ થઈ ગઇ. એની આંખોમાં આંસુ હતાં, પણ મનમાં આશા હતી કે આ દુઃસ્વપ્ન છે. રીટાબહેન વારંવાર યશવીને માફી મંગાવતાં, પણ યશવી વિચારતી, મારી ભૂલ શુ થઇ?
ઘણા પરિવારો પુત્રવધૂને દીકરીની જેમ રાખવાનું કહે છે, પણ દીકરાને સાસરે જમાઈની જગ્યાએ દીકરો બનવાનું નથી શીખવતા. એ ડરે છે કે દીકરો વહુનો થઈ જશે. આ એકતરફી અપેક્ષાઓ તણાવ અને છૂટાછેડા સુધી લઈ જાય છે.
માતાનો પ્રયત્ન હોય કે દીકરો-વહૂ શાંતિથી રહે
ઘણા પરિવારોમાં પુત્રવધૂ પાસે દીકરીની જેમ વર્તવાની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ આ જ પરિવારો પોતાના દીકરાને જમાઈની જગ્યાએ દીકરો બનવાનું શીખવવામાં ઘણીવાર બાકી રહી જાય છે. આ એકતરફી અપેક્ષા ઘણીવાર ઘરમાં તણાવનું કારણ બને છે. નાની-નાની ગેરસમજણો કે ઘરેલું વિવાદો જ્યારે છૂટાછેડા સુધી પહોંચે છે, ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે શું આ યોગ્ય છે? ખાસ કરીને જ્યારે પતિ-પત્ની વચ્ચે સુમેળ હોય, પરંતુ સાસરિયાંની દખલગીરી કે અપેક્ષાઓને કારણે લગ્નના માત્ર બે-ચાર વર્ષમાં જ છૂટાછેડાનો વિચાર આવે ત્યારે યુગલની મનોદશા અત્યંત જટિલ અને દુઃખદ હોય છે. આવી સ્થિતિમાં શું દરેક વખતે પુત્રવધૂનો જ વાંક હોય છે? અને સાસરિયાં દ્વારા પુત્રવધૂ પાસે વારંવાર માફી માંગવાની અપેક્ષા રાખવી કેટલી યોગ્ય છે?
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા શારદા શર્મા કહે છે, “જ્યારે કોઈની દીકરીને પુત્રવધૂ બનાવીને ઘરે લાવીએ, ત્યારે એને આપણા પરિવારમાં જોડાવાનો સમય અને માવજત આપવી જરૂરી છે. એના મનમાં એવુ લાગવું જોઈએ કે હવે એ પોતાનાં પીયરમાં છે. સમય સાથે એ બધું શીખી જાય છે. એક માતા તરીકે હંમેશા પ્રયત્ન એ જ હોવો જોઈએ કે દીકરો અને વહૂ સાથે અને શાંતિથી રહે. અંતે માતા-પિતા માટે એ બંનેનો સાથે રહેવુ જ મહત્વનું છે, કેમ કે જેમ તેઓ એકબીજાની નજીક રહેશે, વાતો વહેંચશે તેમ પ્રેમ પણ ઘેરો બનશે.”
પુત્રવધુને દીકરી કહેવી જ નહી, સમજવી પણ જરૂરી
જ્યારે પતિ-પત્ની વચ્ચે સુમેળ હોય, પરંતુ સાસરિયાંની દખલગીરીને કારણે છૂટાછેડાનો વિચાર આવે, ત્યારે યુગલની મનોદશા દ્વિધાગ્રસ્ત, નિરાશ અને ગુસ્સાથી ભરેલી હોય છે. પુત્રવધૂને લાગે છે કે એના પ્રયત્નોનું મૂલ્ય નથી થતું. એના પર અન્યાય થઈ રહ્યો છે. એ પોતાની ઓળખ, સ્વાભિમાન અને માનસિક સ્વાસ્થ્યને બચાવવા માટે લડતી હોય છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ફેમીલી કોર્ટના વકીલ દિપ્તી.આર. પટેલ કહે છે કે, ‘સાસુએ હંમેશા પારકા ઘરેથી લાવેલી દીકરીને દીકરી જ સમજવી જોઈએ. દીકરો લગ્ન પછી પોતાનાથી અળગો થઈ જશે એમ માનવું ખોટુ છે. તમારો દીકરો તમારો જ રહેવાનો છે. બીજી એક વાત એ પણ છે કે આજે અનેક એવા કેસ છે જેમાં દીકરીનું ઘર તુટવાનું કારણ ક્યાંકને ક્યાંક એની માતાની દખલગીરી હોય છે. માટે દીકરીના લગ્ન પછી એને એની રીતે સાસરીમાં સેટ થવા દેવી પણ જરૂરી છે. તો પુત્રવધુને પણ પરિવારમાં મનભરી આવકારી એને સારી રીતે રાખવી પણ જરૂરી છે.’
પુત્રવધૂ પાસે માફીની અપેક્ષા ન્યાયસંગત નથી
સંબંધોની નિષ્ફળતા એ એક જટિલ મુદ્દો છે, જેમાં ઘણા પરિબળો સામેલ હોય છે. સાસરિયાંની અતિરિક્ત અપેક્ષાઓ, પુત્રની નિષ્ક્રિય ભૂમિકા અને સમાજના પુરુષ-પ્રધાન ધોરણો। સાસરિયાં દ્વારા પુત્રવધૂ પાસે વારંવાર માફી માંગવાની અપેક્ષા રાખવી ન તો યોગ્ય છે, ન જ ન્યાયી. માફી માંગવી એ ભૂલ સ્વીકારવાનું પગલું છે, પરંતુ જો એ એકતરફી બની જાય અને નાની-નાની બાબતોમાં પણ પુત્રવધૂ પર માફી માંગવાનું દબાણ થાય, તો એ એના સ્વાભિમાનને ઠેસ પહોંચાડે છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બ્યુટીશ્યન શિવાની ઠક્કર કહે છે, ‘વહુને તો બધા દીકરી જેવી માનવા તૈયાર હોય છે, પણ દીકરાને એ શીખવવામાં આવતુ નથી કે એને પણ પોતાની સાસરીમાં જમાઈ નહીં, દીકરો બનીને રહેવું જોઈએ. ઘણી વાર એવો ડર હોય છે કે, મારો દીકરો હવે એની પત્નીનો થઈ જશે. આવા વિચારો ઘરમાં અશાંતિ લાવે છે. દરેક સંબંધને સમજદારીથી સંભાળવો જોઈએ. જયારે માફીની વાત આવે ત્યારે માફી તો એ વ્યક્તિ માંગે છે, જેને ખરેખર લાગે કે એને કઇ ખોટુ કર્યુ છે. પુત્રવધુ પાસે વારંવાર પરાણે માફી મગાવવાની અપેક્ષા રાખવી ન્યાયસંગત નથી.’
હેતલ રાવ
