આડંબરને આડે હાથ લેનાર અખા ભગતનું સંભારણું…

એક મુરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન….
તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ના પહોંચ્યા હરીને શરણ,
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન….

ચોટદાર છપ્પા લખવા માટે જાણીતા અખા ભગત જેવા સર્જકથી ગુજરાતી સાહિત્ય રળિયાત છે. આવા વાસ્તવિક અને ક્રાંતિકારી વિચારો છપ્પા રુપે લખનાર આ સર્જકનું એક સંભારણું અમદાવાદ શહેરના ખાડિયા રાયપુર વિસ્તારની દેસાઈની પોળમાં છે. હેરિટેજ અમદાવાદની સૌથી સમૃદ્ધ મકાનો, ઈમારતો, સ્થાપત્યો જે વિસ્તારમાં આવેલા છે એની વચ્ચે જ અખા ભગતની યાદમાં એક સ્મારક મુકવામાં આવ્યું છે.

અમદાવાદ નજીક આવેલા જેતલપુરથી ખાડિયામાં આવીને વસેલા અખા સોનીએ સમાજમાં ચાલતાં આડંબર વિશે અનેક છપ્પા લખ્યા હતા. આ વખતે રિવરફ્રન્ટ પર મોટા પાયે યોજાયેલા પતંગોત્સવમાં આ જ પોળના સ્થાપત્યોની આબેહુબ પ્રતિકૃતિ પણ ઉભી કરવામાં આવી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)