ધાર્મિક સંઘર્ષને પાછળ છોડીને આગળ વધો

જે ક્ષણે માનવી ધાર્મિક બન્યો, તે જ ક્ષણથી તમામ સંઘર્ષનો અંત આવી જવો જોઈએ, પણ દુર્ભાગ્યે, વિશ્વમાં સર્વત્ર ધર્મ જ સંઘર્ષનો મૂળ સ્રોત બન્યો છે. તેણે સૌથી વધુ લોકોનો ભોગ લીધો છે અને હજ્જારો વર્ષોથી તે પૃથ્વી પર મહત્તમ દુખનું કારણ બન્યો છે. તેનું કારણ એ છે કે લોકો એવી બાબતમાં વિશ્વાસ રાખે છે, જે તેમના માટે વાસ્તવિકતા નથી. કોઈ વ્યક્તિ અમુક નિયમમાં વિશ્વાસ ધરાવે છે, તો બીજી વ્યક્તિ બીજા કોઈ સિદ્ધાંતમાં વિશ્વાસ ધરાવે છે અને સ્વાભાવિકપણે જ, સંઘર્ષ ટાળી શકાતો નથી. આજે કે આવતીકાલે તેઓ લડવાના જ છે. તેઓ થોડા સમય પૂરતો સંઘર્ષ ટાળી શકે, પણ કોઈને કોઈ દિવસ તો તેઓ લડવાના જ. જ્યાં સુધી તમે માનશો કે ફક્ત તમારો માર્ગ જ સાચો છે અને અન્ય કોઈ વ્યક્તિ માને કે તેનો માર્ગ સાચો છે, ત્યાં સુધી તે બન્ને અનિવાર્યપણે લડવાના જ.

તમામ ધર્મો આંતરિક માર્ગ તરીકે શરૂ થયા હોવા છતાં, સમય જતાં તે ફંટાઈ ગયા છે અને કેવળ માન્યતાઓની હારમાળા બનીને રહી ગયા છે. તમામ ધર્મોએ માનવ જીવનનું મૂલ્ય સમજાવ્યું હોવા છતાં તે જ ધર્મને ખાતર આજે લોકો એકબીજાનાં જીવ લેવા તૈયાર થાય છે.

દુર્ભાગ્યે, આને કારણે વિશ્વમાં ઘણાં દુખ અને સંઘર્ષ સર્જાયાં છે. આ મૂળભૂત સમસ્યાનું યોગ્ય રીતે નિવારણ લાવવામાં આવ્યું નથી. લોકો કાયમ બે જૂથો વચ્ચે કામચલાઉ મરામત કરવાનો પ્રયત્ન કરે છે, પણ આ સમાધાન લાંબો સમય ટકતું નથી અને કોઈક સ્થળે સંઘર્ષ ઉદ્ભવશે – જેનો આધાર એ છે કે લોકો એવી વસ્તુમાં વિશ્વાસ ધરાવે છે, જે હજી સુધી તેમના માટે વાસ્તવિકતા નથી. જો તમે વાસ્તવિકતા પર નજર કરશો, તો દરેક વ્યક્તિ માટે તે સમાન વાસ્તવિકતા છે, પછી ભલે તમે ગમે તે ધાર્મિક પાર્શ્વભૂમિમાંથી આવતા હોવ. જ્યારે તમે માન્યતા ધરાવો છો, ત્યારે દરેક જૂથ શું સાચું છે અને શું ખોટું છે તે અંગે તેની પોતાની માન્યતા ધરાવતું હોય છે. તમે એવી બાબતોમાં વિશ્વાસ ધરાવો છો જેને તમે જોઈ કે અનુભવી નથી. તે તમામ સંઘર્ષનું મૂળ છે.

યોગનો મૂળભૂત ઉદ્દેશ ધર્મને એક માન્યતા તરીકે નહીં, બલ્કે એક આંતરિક અનુભવ તરીકે જોવાનો રહ્યો છે. કોઈ માન્યતા સાથે શરૂઆત ન કરો, અંતરમાં ડોકિયું કરવાનું શરૂ કરો. જે પણ સાચું હોય, તેનો અનુભવ કરીને આગળ વધો. તેને માન્યતા નહીં, બલ્કે વિજ્ઞાન ગણીને આગળ વધો.

ઠેકઠેકાણે જૂથો અંદરો-અંદર ઝઘડી રહ્યાં છે. આધ્યાત્મિક ક્ષેત્રે કશું પણ થઈ રહ્યું નથી. જો વ્યક્તિની અંદર કોઈ ખરી મૂલ્યવાન ઘટના આકાર ન પામે, તો બાહ્ય દુનિયામાં કોઈ અત્યંત મૂલ્યવાન ઘટના સાકાર થઈ શકે નહીં. તમે જે પણ કરતા હોવ, તે થકી તમે માત્ર તમારો ગુણ પ્રસરાવી રહ્યા છો. તમે ઈચ્છો કે ન ઈચ્છો, તે વાસ્તવિકતા છે. તમે જે છો, તે જ તમે સર્વત્ર પ્રસરાવશો. જો તમે વિશ્વ અંગે ચિંતિત હોવ, તો સૌપ્રથમ તો તમારામાં સ્વયંને બદલવાની તૈયારી હોવી જોઈએ. યોગ એટલે, ‘હું મને બદલવાની ઈચ્છા ધરાવું છું.’ તમે વિશ્વને નહીં, ખુદને બદલવાની ઈચ્છા ધરાવો છો. જ્યારે તમે કહો છો કે, ‘હું બીજા લોકોને બદલવા ઈચ્છું છું,’ તો ફક્ત સંઘર્ષ જ થશે. જ્યારે તમે બદલાવાની તૈયારી દાખવશો, ત્યારે જ આ વિશ્વમાં પરિવર્તન આકાર પામશે. આ સ્વ-રૂપાંતરણ વ્યક્તિ અને સમાજને સાચા કલ્યાણ તરફ દોરશે. આ સાચી ક્રાંતિ છે.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.