તમારી આવતીકાલને જુઓ

અહીં ફક્ત ધ્યેય-વગર જીવવું એ આધ્યાત્મિક પ્રક્રિયા છે. તેનો અર્થ સુસ્ત અને શિથિલ થવાનો નથી. આધ્યાત્મિક પ્રક્રિયાનો અર્થ એ છે કે અત્યારે જે છે તે સાથે તીવ્રતાથી શામેલ રહેવું, પરંતુ કોઈ લક્ષ્ય વગર. જો તમારી પાસે અહીં એવી રીતે બેસવાની હિંમત હોય તો – “કાલે ભલે ગમે તે થાય,એ મારી માટે સારું છે, પરંતુ હમણાં હું જે પણ કરી રહ્યો છું તેમા મારૂં શ્રેષ્ઠ આપીશ,” તો તમે કુદરતી રીતે આધ્યાત્મિક બનશો.

થોડા વર્ષો પહેલાં, મને સાહસિક લોકોનું એક નાનું જૂથ મળ્યું જેણે વિશ્વના કેટલાક સૌથી ઊંચા પર્વત શિખરો પર ચઢાઈ કરી છે. તેઓ ઉત્તર ધ્રુવ તરફ વળ્યા અને સમુદ્ર સપાટીથી બાવીસ હજાર ફૂટ ઉપર એન્ડીસમાં શિયાળામાં ત્રણ મહિનાથી વધુ સમય ગાળ્યા. તેઓ એવી જગ્યાએ રહેવા ઇચ્છતા હતા કે જ્યાં તેઓ જાણી ના શકે કે આગલી ક્ષણમાં શું આવી રહ્યું છે. તેઓ મને મળવા આવ્યા હતા અને અમારો એક સ્વયંસેવક તેમની સાથે ઇનર એંજીન્યરિંગ પ્રોગ્રામ વિશે વાત કરી રહ્યો હતો. મેં આ લોકો તરફ જોયું અને મને લાગ્યું કે તેમની સાથે ત્રણ દિવસ બગાડવા નહીં પડે. મેં તેમને કહ્યું કે મારી સાથે બેસો અને આંખો બંધ કરો અને બસ. બધું કઈ બોલ્યા વિના જ થઈ ગયું. તેઓએ તેમના જીવનમાં ક્યારેય આધ્યાત્મિકતા વિશે વિચાર્યું ન હતું, તેઓ ફક્ત સાહસ ઇચ્છતા હતા – તેઓ એવી રીતે જીવવા માગે છે જ્યાં તેઓ જાણતા ના હોય કે આગલી ક્ષણ શું લાવશે. મારે તેમને કંઈપણ શીખવવું ન પડ્યું, મારે ફક્ત તેમને ઈશારો કરવો પડ્યું કારણ કે તેઓ સારી રીતે તૈયાર હતા. બસ એ આટલું જ માંગી લે છે.

સરળ રીતે અહીં રહેવા માટે, તમે કાં તો અહીં નિર્ભેળ, અત્યંત સાહસ અથવા નિર્માતા પર વિશ્વાસ રાખી શકો છો. આ બે રીત છે. નિર્માતા પર વિશ્વાસ રાખવાનો અર્થ એ નથી કે તમે તમારા માથામાં ભગવાન સાથે વાત કરો અથવા એવું કંઈક. તમે જ્યાં પણ રહો છો ત્યાં આરામથી બેઠા છો તે હકીકત છે, તે વિશ્વાસ છે. કારણ કે એવી ઘટનાઓ બની છે કે જ્યાં પૃથ્વી ખુલી ગઈ અને લોકોને ગળી ગઈ; આકાશના ટુકડાઓ લોકો પર પડ્યા અને તેમને કચડી નાખ્યાં; જે હવા તેમણે શ્વાસ તરીકે લીધી તે તેમના વિરુદ્ધ થઈ. જો તમારી પાસે વિશ્વાસ છે, તો તમે સરળતાથી અહીં રહી શકો છો – અને તે આધ્યાત્મિક પ્રક્રિયાનું મૂળભૂત પગલું છે. તે જીવન માટે એક અવિરત ઉત્સાહ છે.

(સદગુરુ જગ્ગી વાસુદેવ)

(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)