ભયનું કારણ છે અસત્ય અને પોતાનાપણાની ભાવના

ભયને સમાપ્ત કરવા માટે મનુષ્ય અનેક પ્રકારની દવાઓ, મંત્રતંત્ર વિગેરેનો સહારો લે છે. પરંતુ આ પ્રયત્નોથી ભયનું મૂળ સમાપ્ત નથી થતું. ભયનું મૂળ કારણ મનુષ્યનું પોતાના અંગે અજ્ઞાન છે. હું શુદ્ધ આત્મા પરમાત્માની સંતાન છું એ જ્ઞાનના અભાવમાં મનુષ્ય પોતાને પ્રકૃતિનું પૂતળું સમજે છે. આ પૂતળાના નાશ પામવાના, શરીરના સંબંધીઓ થી અલગ થવાના, શરીરના આરામ માટે વસાવેલ સાધનોના નષ્ટ થવાના ભયથી ભરેલો રહે છે. મૃત્યુ સમય તથા મૃત્યુ પછી મળનાર કર્મોની સજાઓનો ભય પણ તેને સતાવે છે. દેહ અભિમાન વશ આત્મા જે કાર્ય કરે છે તેના સંસ્કાર શરીર છોડ્યા બાદ પણ આત્મામાં રહે છે. ભયના સંસ્કાર પણ હોય છે જે કોઈ પરિસ્થિતિના કારણે બનેલ હોય છે.

સમ્મોહન ક્રિયા દ્વારા મનુષ્ય આત્માઓ ઉપર પ્રયોગ કરીને એ તારણ નીકળ્યું કે જો કોઈ વ્યક્તિને આ જન્મમાં કોઈ વિશેષ પરિસ્થિતિ કે વ્યક્તિનો ડર લાગતો હોય તો તે તેના પૂર્વ જન્મની કોઈ ભય ઉત્પન્ન કરવા વાળી ઘટનાની અસર સંસ્કાર રૂપમાં આ જન્મ સુધી પણ ચાલી આવે છે. ઉદાહરણ રૂપે એક બાળકને ગાડીમાં બેસવાથી ભય લાગતો હતો. સમ્મોહન ક્રિયા દ્વારા એ તારણ નીકળ્યું કે તે બાળક ગયા જન્મમાં કાર અકસ્માત દ્વારા મૃત્યુ પામેલ હતો. દીવાસળી સળગાવતી વખતે ભયનૉ અનુભવ કરનાર બહેનનું મૃત્યુ પૂર્વ જન્મમાં આગ દ્વારા થયું હતું. એક બાળક થોડા અવાજથી પણ ડરી જતો હતો. સંમોહન વિદ્યા દ્વારા જાણવા મળ્યું કે પૂર્વ જન્મમાં તે એક કડક સ્વભાવના માલિકના ઘોડાની સંભાળ રાખતો હતો. માલિકના બુટની થોડી સરખી અવાજ પણ તેને ખૂબ ડરાવની લાગતી હતી. તે ભયના સંસ્કાર આ જન્મમાં પણ તેને હેરાન કરી રહ્યા હતા.

જે ચીજ અથવા ઘટના મનુષ્યને ભયભીત કરે છે તે જાગૃત અવસ્થામાં તો દિલ દિમાગ પર તો અધિકાર જમાવે છે પણ પછી તે સપનામાં પણ આવે છે. ઘણીવાર સપનામાં ખુબ ભયાનક રૂપ ધારણ કરીને આવે છે. જેવી રીતે થોડો લોહીનો ડાઘો જોઈને ડરવા વાળા લોકો સપનામાં ભયાનક ખૂનનું દ્રશ્ય જોઈને મોટેથી બૂમ પાડી ઉઠે છે. આવી ઘટનાઓ વારંવાર બનવાથી મનુષ્યની મનની સ્થિતિ ભય પ્રધાન બની જાય છે. તે ભયને સામાન્ય માનવાની ભૂલ કરી બેસે છે. પરંતુ ભયએ પશુની વૃત્તિ છે. માટે જ કહેવાય છે કે ઊંઘ-આહાર-મૈથુન-ભય એ ચાર વૃત્તિઓ મનુષ્ય તથા પશુમાં એક સમાન જોવા મળે છે. આ ચારેય ઉપર વિજય પ્રાપ્ત કરવો એજ મનુષ્યને પશુથી શ્રેષ્ઠ સાબિત કરે છે.

ભયના અનેક કારણો માનું એક છે અસત્ય. અને બીજું છે મારા પણાની ભાવના. અસત્ય તથા ભય એકબીજાના પૂરક છે જ્યાં સત્ય છે ત્યાં જય છે અને જ્યાં અસત્ય છે ત્યાં ભય છે. કહેવાય છે કે અસત્યના પગ નથી હોતા. પગ તો શું તેનું અસ્તિત્વ જ નથી હોતું. મનની કમજોરીના કારણે સત્યના બદલે જ્યારે બનાવટી રીતે બનાવવામાં આવેલ વાતને સત્ય સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો તેમાં સફળતા મળતી નથી.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)