મનનું ઘડતર

દ્રૌપદીના સ્વયંવરમાં અતિ કઠીન કસોટીમાં અર્જુન ઉત્તીર્ણ થયા. ત્રાજવાંનાં બે પલ્લામાં પગ સ્થિર કરી પાણીમાં પડતું પ્રતિબિંબ જોઈને એમણે મત્સ્યવેધ કર્યો. મનની આવી અસીમ એકાગ્રતાને વરેલા અર્જુને પણ શ્રીકૃષ્ણને કહયું હતું: મારું મન ભમે છે. હું મારા ચંચળ મનને સ્થિર કરી શકતો નથી. આ વેદના પાંચ હજાર વર્ષ પૂર્વેના એક પાર્થની જ નહીં, પણ પૃથ્વી પર વસતા પ્રત્યેક પાર્થની છે.

 માણસની અપાર શક્તિ અને સામર્થ્યની વંદના કરતાં કહેવામાં આવ્યું છે કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. હજારો માણસોને ખોળામાં સમાવી લે તેવા વિમાન બનાવી આભને આંબતો થઈ ગયો તો આકાશને આંબતા આવાસ બનાવી ગગનમાં વિહરતો થઈ ગયો. હજારો ટન સામગ્રી સાથે સમંદર પર સરકવા લાગ્યો તો પવન સાથે બાથ ભીડે તેવી બુલેટ ટ્રેનમાં મહાલવા લાગ્યો, દુનિયાઆખીને મુઠ્ઠીભર મોબાઈલમાં માણતો થઈ ગયો તો પળવારમાં પરિવર્તન કરે તેવાં મશીનોની માયાજાળ ગૂંથતો થઈ ગયો.

આટલી સિદ્ધિઓ પછી પણ માણસ પોતાના મન સામે કેમ માયકાંગલો પુરવાર થાય છે? જંગલી પશુઓને આંગળીના ઈશારે નચાવનારો માણસ આજે પોતાના મન આગળ કેમ નાચવા લાગે છે? ભૂકંપે અડીખમ રહે તેવા નિવાસો રચનારો માણસ, મનના એક ઝપાટે કેમ ભોંયભેંગો થઈ જાય છે? આજના વિશ્વની સમસ્યા અસ્થિર અર્થતંત્ર નહીં, પણ અસ્થિર માનસતંત્ર છે.

સવારે વહેલા ઊઠવાનું કે નિરામય ને મિત્ત આહાર લેવાનું, નિત્ય કસરત કે વૉકિંગ કરવાનું નક્કી કરું છું, પણ મન રોજ મને રમાડી જાય છે આવા સંવાદ આપણે અવારનવાર સાંભળીએ છીએ. સાયન્સ લેવું કે કૉમર્સ, દેશમાં ભણવું કે વિદેશ જવું, નોકરી કરવી કે ધંધો કરવો… મન કોઈ નિર્ણય જ કરી શકતું નથી. ખરાબ વિચારો કે વ્યસનો સામે, કુટેવો કે ક્રોધી સ્વભાવ સામે મારું મન હંમેશાં હિંમત હારી જાય છે. અભ્યાસ કે સ્પૉર્ટ્સમાં મળેલી નિષ્ફળતાને અને પ્રેમ કે પરિવારમાં થયેલા કટુ અનુભવને મારું મન ભૂલી જ શકતું નથી. હા, કોઈનું મન સાવ ભાંગી ગયું છે તો કોઈનું સાવ થાકી ગયું છે. એટલે જ તો આજે મનોચિકિત્સકોના દરવાજે મોટી લાઈનો લાગે છે. ડિપ્રેશનની ગર્તામાં ધકેલાઈ જવું આજે સામાન્ય થઈ પડ્યું છે.

શરીરને દુરસ્ત રાખવા માટે આપણે ઘણું બધું કરીએ છીએ પણ વધારે અગત્યનું એ છે કે આપણું મન પણ દુરસ્ત રહે. કહેવાયું છે કે મનઃ એવ મનુષ્યાણાં કારણં બન્ધમોક્ષયોઃ અર્થાત્ મન જ મનુષ્યનાં બંધન અને મોક્ષનું કારણ છે.

સર્વ સુખ કે દુઃખનું કારણ એવા અશાંત અને અસ્થિર મનને વશ કરવાનો ઉપાય બતાવતાં શ્રીકૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે: મન ચંચળ છે, અને વશ કરવું મુશ્કેલ છે, પણ અભ્યાસ અને વૈરાગ્ય વડે તેને વશ કરાય છે.

શાનો અભ્યાસ? મનને વશ કરવાનો અભ્યાસ. એવા અભ્યાસની પાઠશાળા એટલે આપણાં મંદિરો, શાસ્ત્રો અને પવિત્ર સંતો. એટલું નિશ્ચિત છે કે સનાતન પ્રશ્નોના ઉત્તર આધ્યાત્મિક જગતમાંથી મળવાના છે, અન્યથા માનવીના અસ્તિત્વનો હેતુ સમજવો જ અશક્ય છે.

માનવમનની શુદ્ધિ, સંવૃદ્ધિ, સ્થિરતા અને સલામતી માટે આધ્યાત્મિકતા જરૂરી છે અને આધ્યાત્મિકતાની સર્વાંગ સંપૂર્ણ સિદ્ધિ થાય તે માટે મંદિરો. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે મનને સ્થિર કરે તે મંદિર, ઉચ્ચ જીવનની પ્રેરણા આપે તે મંદિર. માટે જ પ્રમુખસ્વામી મહારાજે મંદિરોનું માત્ર મહિમામંડન ન કરતાં વિશ્વભરમાં 1100 થી વધુ મંદિરો સર્જ્યાં. સાથે સાથે પોતાના સંતો દ્વારા શાસ્ત્રજ્ઞાનની સરવાણી વહાવી શાસ્ત્રોને અનુમોદન આપ્યું. એમનો હેતુ એક જ હતોઃ લોકો જ્ઞાન પામી મનને સ્થિર રાખી શકે.

ચાલો, આપણે આપણાં મનને અસ્થિર કરનારાં અનિષ્ટોથી દૂર રહી મનને મજબૂત કરે તેવાં મંદિરો અને સ્થિર કરે તેવા ગુણિયલ સંતો તથા શાસ્ત્રોના સંગમાં રહી મનનું ઘડતર કરીએ, મનને મજબૂત બનાવવા કમર કસીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)