ગયા અઠવાડિયે અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 દુર્ઘટનાગ્રસ્ત થઈ. કાળજું કંપાવનારી આ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો. દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે બચાવકામગીરી શરૂ થઈ ગઈ. વિવિધ સરકારી એજન્સીઓ ઉપરાંત અમુક સેવાભાવી સંસ્થા, આસપાસના રહેવાસીઓ પણ રાહતકાર્યમાં જોડાયા.
જો કે અહીં વાત ડિઝાસ્ટર મેનેજમેન્ટની કે સેવાકાર્યોની નહીં પણ લીડરશિપ ક્વૉલિટીની કરવી છે. મારી વાત એક ઉદાહરણ સાથે સમજાવું. થોડાં વર્ષ પહેલાં કર્ણાટક રાજ્યના કોપાલ જિલ્લામાં રહેતો એક યુવાન રસ્તા પર પગપાળા જઈ રહ્યો હતો ત્યારે પૂરપાટવેગે આવી રહેલા વાહને એને અડફેટમાં લીધો. યુવાનને ગંભીર ઈજા થઈ. અકસ્માત જોઈને તરત આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા. સૌને ખ્યાલ આવી ગયો કે યુવાનને તાત્કાલિક સારવારની જરૂર છે. આમ છતાં યુવાનને હૉસ્પિટલ પહોંચાડવાને બદલે લોકો પોતપોતાનાં ખિસ્સાંમાંથી ફોન કાઢીને એના ફોટા-વિડિયો લેવા માંડ્યા. કોઈને મદદ કરવાનું સૂઝ્યું જ નહીં… સમયસર સારવાર ન મળતાં થોડી વારમાં એ યુવાનનું મૃત્યુ થયું.
અકાળે બુઝાઈ ગયેલા જીવનદીપ વિશે વાંચીને આપણને જરૂર આશ્ચર્ય થાય. સાથે અસંવેદનશીલ માનસ ઉપર દયા, ગુસ્સો પણ આવતાં હશે, પરંતુ ધારો કે તમે એ ટોળામાં સામેલ હો તો શું તમે આગળ આવીને એ યુવાનને બચાવવાનો પ્રયત્ન કર્યો હોત? એને પાણી પીવડાવી તમારા વાહનમાં હૉસ્પિટલ લઈ ગયા હોત? ચાલો, હૉસ્પિટલ જવાનું બાજુએ, એની પ્રાથમિક સારવારની તજવીજ કરી હોત? તમારો થોડો સમય જતો કરી એને એમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ સુધી પહોંચાડ્યો હોત? જો તમારું મન મક્કમતાથી ‘હા’ પાડતું હોય તો સમજવું કે તમારામાં માણસાઈ, શિષ્ટાચાર, સંવેદનશીલતા જેવાં લક્ષણની સાથે સુષુપ્ત રીતે પડેલું એક વિશિષ્ટ સુલક્ષણ પણ હોવું જોઈએ, જેને તમે વિકસાવી પણ શકો.. એ છે નેતૃત્વશક્તિ. લીડરશિપ.
સારી-નરસી પરિસ્થિતિમાં તત્કાળ નિર્ણય લઈ નેતૃત્વ કરવાની શક્તિ નાના-મોટા તમામમાં ભગવાને મૂકેલી હોય છે, બસ, એ સમયસર પ્રગટવી જોઈએ. સુપ્રસિદ્ધ લેખક એન્ડર્સન કહે છેઃ ‘પરિસ્થિતિ પારખીને જરૂરિયાતમંદની વહારે દોડી જવું, એ નેતૃત્વનો સૌથી મહત્ત્વનો ગુણ છે.’
એક વાર એક મજૂર પોતાની હાથલારીને ખેંચીને ટેકરો ચડાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ચઢાણ કપરું હોવાથી ઘણી વાર લારી પણ ટેકરાની અણીએ પહોંચતાં પહોંચતાં નીચે સરકી પડતી. મજૂરને પણ ખૂબ શ્રમ પડતો હતો. આસપાસ અવરજવર કરનાર લોકો આ દેશ્ય જોઈને આગળ પસાર થઈ જતા, પણ કોઈ તેની મદદે ન આવતું. એક વાર તો તેની ગાડી ગબડવાની અણી પર હતી, પણ એ જ વખતે અનાયાસે એક વ્યક્તિનો ટેકો સાંપડ્યો અને લારી ટેકરો ચડી ગઈ. મજૂરે તે સજ્જનનો આભાર માન્યો અને તે સજ્જને ત્યાંથી વિદાય લીધી. થોડા દિવસ પછી એ જ સજ્જન દેશના વડાપ્રધાન બન્યા.
આ વાતની જાણ જ્યારે તે મજૂરને થઈ ત્યારે તે ખૂબ જ આનંદ પામતાં બોલી ઊઠ્યો, ‘મારું અહોભાગ્ય! મારું જ નહીં, પણ મારા દેશનું અહોભાગ્ય કે આવા મહાન સેવાભાવી વડા પ્રધાન મળ્યા.” એ વડા પ્રધાન એટલે બ્રિટનના પ્રખર રાજકારણી અને યુનાઈટેડ કિંગડમના ચાર વાર પ્રાઈમ મિનિસ્ટર રહી ચૂકેલા વિલિયમ ગ્લેડસ્ટોન.
એક પ્રસિદ્ધ લેખકે એટલે જ કહ્યું છે કે, નેતૃત્વ એને જ ફળે, જે સામે ચાલીને સેવાની તક ઝડપી લે. પછી ભલેને કદાચ, જાજરું સાફ કરવા જેવી ક્રિયા કરવાની થાય તો પણ… સાચા નેતા ક્યારેય ક્ષોભ પામતા નથી. એ તો પોતાનાં માન-મોભો-મરતબો મૂકીને સાહજિક એમાં જોડાઈ જાય છે.
અમદાવાદમાં આયોજિત મહોત્સવ દરમિયાન એક યુવકને એઠાં પતરાળાં કચરાપેટી સુધી પહોંચાડવાની સેવા સોંપવામાં આવેલી. એક મોડી રાતે રોજની જેમ એ યુવક લારી લઈ કચરાપેટી તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં અવરોધરૂપ ઢાળ યુવકના પ્રયાસોને નિષ્ફળ કરી રહ્યો હતો. વળી, આ સમયે તેની મદદમાં પણ કોણ આવે? પણ આશ્ચર્ય! બરાબર એ જ વખતે મહોત્સવના સૂત્રધાર પ્રમુખસ્વામી મહારાજ અગત્યની મીટિંગ પૂર્ણ કરીને કક્ષમાંથી બહાર પધાર્યા. તેમણે પેલા યુવકને એકલા હાથે લારી ખેંચવાનો સંઘર્ષ કરતો જોયો. તેઓ સીધા જ તેની પાસે દોડી ગયા. સ્વામીશ્રીને જોતાં જ તે યુવક વિસ્મય પામ્યો, પણ આખરે એને કો’કની તો જરૂર હતી જ. સ્વામીશ્રીએ લારીને ઢાળ પર ચડાવવામાં, કચરાપેટી સુધી પહોંચાડવામાં, ખાલી કરાવવામાં અને ખાલી લારીને મૂળ સ્થાને પાછી લાવવા સુધીની મદદ કરી. એ યુવક રાજી થઈ ગયો. સંસ્થાના પ્રમુખ હોવાના નાતે સ્વામીજી ધારત તો કોઈને મદદ કરવાનો આદેશ આપી શક્યા હોત, પરંતુ તેઓ સ્વયંસેવક બન્યા.
સામાન્ય માનસિકતા એવી હોય છે કે નેતાએ તો કેવળ ઓર્ડર જ કરવાનો હોય, કામ કરનાર તો બીજા હોય, પરંતુ અહીં એક વાત આપણને સ્પષ્ટ દેખાય છે કે લીડરશિપ ઈઝ એન એક્શન, નોટ પોઝિશન… જે સેવક બને એ જ નાયકને લાયક બને. એને જ કહેવાય લીડરશિપ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
