Home Blog Page 974

પંચાંગ 26/04/2025

જમ્મુ અને કાશ્મીરમાં ચાર સંદિગ્ધ વ્યક્તિ દેખાતાં સેના સર્તક

નવી દિલ્હીઃ  જમ્મુ અને કાશ્મીર પહેલગામમાં આતંકવાદી હુમલા પછી અત્યારે જમ્મુ અને કાશ્મીરમાં સેના સઘન સર્ચ ઓપરેશન કરી રહી છે. એટલું જ નહીં પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સેના દ્વારા એક મોટું ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહી પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કરવામાં આવી રહી છે, આ વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

એક મહિલાએ પોલીસને જાણકારી આપી હતી કે આ વિસ્તારમાં ચાર શંકાસ્પદ માણસો જોવા મળ્યા છે, જેથી સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં મહિલાએ આપેલી આ જાણકારી બાદ સેના સત્વર હરકતમાં આવી અને સઘન તપાસ શરૂ કરી દીધી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. જમ્મુ અને કાશ્મીર એસઓજી સાથે સ્થાનિક પોલીસ પણ સાથ આપી રહી છે.

આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને દરેક આવતી-જતી વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે. આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલો છે. જેથી સેના વધારે સતર્ક બની ગઈ છે. એવી પણ આશંકા છે કે આ શંકાસ્પદ લોકો કોઈ મોટા કાવતરાને અંજામ આપી શકે છે, જેથી સત્વર તેમને પકડી પાડવા જરૂરી છે. સેના દ્વારા સતર્કતા સાથે તપાસ કરવામાં આવી રહી છે. પહેલગામ આતંકવાદી હુમલાના આતંકીઓની પણ સેના દ્વારા શોધખોળ ચાલી રહી છે.

‘મને અમાનવીયતાથી નફરત છે’, ધર્મેન્દ્રએ પહેલગામ હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનું દુઃખ હજુ પણ લોકોના મનમાં તાજું છે. આ હુમલાથી આખો દેશ દુઃખી છે અને શોક વ્યક્ત કરી રહ્યો છે. હવે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ પણ આ ભયાનક આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે અને આ ઘટનામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

 

ઇન્સ્ટાગ્રામે આ રીતે દુઃખ વ્યક્ત કર્યું

અભિનેતા ધર્મેન્દ્રએ આજે ​​પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે. આ તસવીર શેર કરતી વખતે ધર્મેન્દ્રએ પહેલગામ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. પોતાની પોસ્ટના કેપ્શનમાં ધર્મેન્દ્રએ લખ્યું,”મને અમાનવીયતાથી નફરત છે. પહેલગામમાં થયેલી ક્રૂરતા માટે મારું હૃદય રડે છે. હું સમગ્ર વિશ્વમાં શાંતિ, પ્રેમ અને માનવતા માટે પ્રાર્થના કરું છું.”

આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો

22 એપ્રિલની સાંજે, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી ગોળીબાર કર્યો. આ દુ:ખદ ઘટનામાં લગભગ 26 લોકોએ જીવ ગુમાવ્યા. આ ઘટનામાં આતંકવાદીઓએ નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા હતા.

બોલિવૂડના બધા સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું

આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે અને લોકો નિર્દોષ લોકોના મોત પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ઘણા સેલિબ્રિટીઓએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. બધા હવે સરકાર તરફથી કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે.

ધર્મેન્દ્રના કાર્યક્ષેત્ર વિશે વાત કરીએ તો, 89 વર્ષીય અભિનેતા છેલ્લે કરણ જોહરની 2023 માં આવેલી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

થાઈલેન્ડમાં વિમાન દુર્ઘટના, 6 પોલીસ અધિકારીઓનું દુઃખદ અવસાન

થાઈલેન્ડના ફેચબુરી પ્રાંતના ચા-અમ રિસોર્ટ નજીક 25 એપ્રિલ, 2025ના રોજ સવારે 8:15 વાગ્યે એક નાનું પોલીસ વિમાન સમુદ્રમાં ક્રેશ થયું, જેમાં 6 પોલીસ અધિકારીઓનું દુઃખદ મૃત્યુ થયું. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જ્યો. વિમાનમાં અધિકારીઓને કટોકટીની પરિસ્થિતિઓ માટે પેરાશૂટ તાલીમ આપવામાં આવી રહી હતી, પરંતુ અચાનક સંતુલન ખોરવાતાં વિમાન સમુદ્રમાં ખાબક્યું. ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં વિમાનના પડવાની ક્ષણ અને વિસ્ફોટનો અવાજ રેકોર્ડ થયો, જે દૂર-દૂર સુધી સંભળાયો હતો.

આ દુર્ઘટના થાઈલેન્ડના પ્રખ્યાત બીચ ટાઉન ચા-અમના દરિયાકાંઠે બની, જ્યાં વિમાન સમુદ્રમાં લગભગ 100 મીટરની ઊંચાઈથી પડ્યું, જેના કારણે તેના બે ટુકડા થઈ ગયા. ઘટનાની જાણ થતાં ચા-અમ પોલીસ સ્ટેશન અને હુઆઈ સાઈ તાઈ પેટ્રોલ યુનિટ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે વિમાનમાં સવાર 5 અધિકારીઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ અધિકારીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ આ ઘટનાની ગંભીરતા દર્શાવી, જેના કારણે થાઈલેન્ડમાં શોકની લાગણી ફેલાઈ.

થાઈલેન્ડ પોલીસે આ દુર્ઘટનાના કારણો શોધવા માટે તપાસ શરૂ કરી છે, જેમાં વિમાનના બ્લેક બોક્સની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિમાનનું સંતુલન ખોરવાવું એ અકસ્માતનું મુખ્ય કારણ હોઈ શકે છે. મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે આ વિમાન પોલીસ અધિકારીઓને તાલીમ આપવા માટે ઉડાન ભરી રહ્યું હતું, પરંતુ તકનીકી ખામી કે અન્ય કારણોસર નિયંત્રણ ગુમાવ્યું. થાઈલેન્ડ સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈને મૃત અધિકારીઓના પરિવારોને સહાયની જાહેરાત કરી છે, અને વધુ તપાસ ચાલુ છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય.

અલ્ગોરિધમની વિચિત્ર દુનિયા : જ્યાં સ્ક્રોલ કરીએ, ત્યાં વિચારો બદલાય!

આતંકવાદી હુમલાઓ નવા નથી. આપણો ગુસ્સો પણ ખોટો નથી. પગલાંઓ લેવાયા નથી કે લેવાયા એ અલગ વાત અને આપણે કશું નહીં કરી શકતા એ બીજી વાત. થોડા દિવસોમાં બધું ભૂલી જવુ એ પણ સાચી વાત અને ફરી હુમલાઓ નહીં થાય એની પણ કંઈ ગેરેન્ટી નથી.

પણ ફર્ક ક્યાં આવ્યો, આક્રોશતાએ શુ રંગ લીધો? 24 કલાક એક ઘટના તમારા મગજમાં ઠોકવામાં આવી, દરેક સોશિયલ મીડિયાના પેજ, ઇન્ફ્લુએન્સર્સ, મોટીવેશનલ સ્પીકર્સ એક વાતને સો વાર કહે, એક જ વાતના અલગ અલગ મંતવ્યો, અભિપ્રાયોથી રજૂ કરે. માત્ર આજ ઘટના નહીં પણ દરેક એ બાબત જે ટ્રેન્ડમાં છે, તેને જન માનસ પર ઠોકવામાં સોશિયલ મીડિયાનો ફાળો અત્યાર સુધી અવર્ણીત રહ્યો છે.

અંધશ્રદ્ધા હોય કે યુવાઓના અટપટા ટ્રેન્ડ્સ, બની બેઠેલા કાઉન્સેલર્સ હોય કે રેકી,ટેરોટ બતાવતા ઇન્ટિલિજન્ટ ભુવા. મહિનાના અંતે તેમને પચીસ પચાસ મુર્ગા સોશિયલ મીડિયા પર મળી જ રહે છે, જેથી એની રોજી ચાલે છે. પણ એની અસર શુ? આજ સુધી ત્યાં કોઈ સેન્સર બૉર્ડ નથી ઘુસ્યુ કે સેફટીના કોઈ ફીચર્સ નથી અપડેટ થયાં.શુ આપણે પણ એજ દિશામાં ચાલવા તૈયાર છીએ જ્યાં આપણને બ્રેઈન વોશિંગ માટે તૈયાર કરી રહ્યા છે? કોના દ્વારા, અને કોણ છે એ માસ્ટર માઈન્ડ.

એ છે અલ્ગોરિધમનો ખુંખાર કીડો

તમારા એનરોઇડ ફોનના માઈક્રોફોન્સ તમારા શબ્દોને ગ્રહણ કરે છે, વાત ચીતોનો ઊંડો અભ્યાસ કરે છે, તમારી સોશિયલ મીડિયાની લાઈક્સ, ડીસલાઈક્સ, સર્ચ, ફ્રેન્ડસ વગેરે જાણકારીના હિસાબે નક્કી કરે છે કે તમને શું પીરસવું, તમને કેમ લોભવવા અને લલચાવવા. આપણે સવારે આંખ ખોલતાં જ પહેલી નજરમાં ફોન ખોલતાં જ ફોન પર સ્ક્રોલિંગ શરૂ કરીએ છીએ. પણ શું તમે જાણો છો કે આપણું જોવું, પસંદ કરવું કે શેર કરવું એ બધું એક છુપા ‘અલ્ગોરિધમ’ દ્વારા નિયંત્રિત થાય છે?

અલ્ગોરિધમ એટલે શું?

સાદી ભાષામાં કહીએ તો, અલ્ગોરિધમ એ એક પ્રકારનો નિયમોનો સેટ છે, જે નક્કી કરે છે કે તમારે શુं જોવાનું છે. જે પ્રકારની પસંદગી હોય તે જ સતત અહીં પીરસવામાં આવે છે. એટલે જો તમારો ફોન તમારા બાળકો દ્વારા પણ વપરાતો હોય તો એના માટે એ ઘણી વાર અયોગ્ય કન્ટેન્ટ પીરસી શકે છે. અંધશ્રદ્ધા ફેલાવનારા પેજ વધુ ખતરનાક સાબિત થાય છે, ખાસ કરીને દિવાળી, કાળી ચૌદશ જેવા દિવસે અનેક ટોટકા બતાવવામાં આવે છે. દાદા દાદી જેટલાં ઉંમરના લોકો એમના સોફ્ટ ટારગેટ હોય છે. એ લોકો જે કાઉન્સેલર્સ, સાયક્રિયાટિક્સ, ડાયટિંશિયન છે, જે પોતાનું માર્કેટિંગ રીલ્સ કે વીડિઓઝ દ્વારા કરે છે, મોટા ભાગે ટોટકા અને મેડિકલ સલાહો આપતાં રહે છે. એની વાત સાચી હોય તો પણ દરેકને તાસીર પ્રમાણે જ દવાઓની અસર થાય છે. એટલે માત્ર જાહેરાત સિવાય એ લોકોનો ઈરાદો કોઈ જ હોતો નથી.
ઘણી વાર તમે જો મનથી મક્કમ ના હોય તો કોઈના વિચારો તમારા પર હાવી થઈ શકે છે, અંગત જીવનના ઘણા પ્રશ્નો લોકો આવાં ઇન્ફ્લુએન્સર્સના દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરતાં હોય છે જે તદ્દન વાહિયાત સોલ્યુસન છે. બાળકો માટે તે અતિ જોખમી સાબિત થયું છે, બાળકોમાં અગ્રેસન, હાઇપર સેન્સિટિવીટીના કેસોમાં ધરખમ વધારો થયો છે.
અલ્ગોરિધમ આપણું જીવન કેવી રીતે નિયંત્રિત કરે છે?

 

આજના સમયમાં અલ્ગોરિધમ આપણું ધ્યાન, સમય અને પસંદગીઓને નિયંત્રિત કરે છે. આપણે શું વાંચીએ, શું ખરીદીએ, કે શું વિચારીએ—આ બધું ખુબજ હદ સુધી એ આધારે નક્કી થાય છે કે મીડિયાના એ એપ્સ શું બતાવે છે.

ઉકેલ શું છે?

સોશિયલ મીડિયા માટે સમય મર્યાદિત કરવો. અલગ-અલગ વિષયો માટે માહિતી શોધવાનો પ્રયત્ન કરવો,જેથી અલ્ગોરિધમ પણ વિવિધતાપૂર્વક માહિતી આપે. જ્યાં સુધી તમે સ્યોર નથી ત્યાં સુધી, માહિતી શેર કરતાં પહેલા તેની સચોટતા ચકાસવી.

અલ્ગોરિધમ પોતે ખરાબ નથી, પણ તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો એ આપણા હાથમાં છે. જો આપણે સમજદારીથી તેનો ઉપયોગ કરીએ, તો તે જાણકારી અને વિકાસ તરફ દોરી શકે છે. નહીં તો, તે આપણા વિચાર અને જીવનની દિશા બદલી શકે છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

પહલગામમાં હુમલા બાદ ગુજરાતના દરિયાકાંઠે સઘન સુરક્ષા વ્યવસ્થા

પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના પ્રમુખ યાત્રાધામો જેવા કે સોમનાથ, દ્વારકાધીશ અને અંબાજી મંદિરો ખાતે સુરક્ષા વધારી દેવામાં આવી છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ દરરોજ દર્શન માટે આવે છે. આ ઉપરાંત, જાહેર સ્થળો અને પરિવહન કેન્દ્રો પર પણ પોલીસ અને વિશેષ દળોની તૈનાતી વધારવામાં આવી છે. બનાસકાંઠાના એસપી અક્ષરાજ મકવાણાએ જણાવ્યું કે અંબાજી મંદિર ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને સ્નાઈપર્સ તૈનાત કરાયા છે, સાથે જ દર્શનાર્થીઓ માટે સઘન સુરક્ષા તપાસ ફરજિયાત કરાઈ છે. આ હુમલામાં ગુજરાતના ત્રણ નાગરિકોના મોત થયા હતા, જેના કારણે રાજ્ય સરકારે સુરક્ષા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

બીજી બાજુ ગુજરાત સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલો હોવાથી, જામનગર, દ્વારકા અને મોરબી જિલ્લાઓમાં દરિયાઈ સુરક્ષા સઘન કરવામાં આવી છે. જામનગર મરીન પોલીસે દરિયાકાંઠાના વિસ્તારો, લેન્ડિંગ પોઈન્ટ્સ અને નજીકના ગામોમાં ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું છે. માછીમારોની બોટ અને તેમની ઓળખની સઘન તપાસ હાથ ધરાઈ છે. રાજકોટ રેન્જના ઈન્સ્પેક્ટર જનરલ અશોક કુમાર યાદવે જણાવ્યું કે, તમામ ચેકપોસ્ટ પર વાહનોની તપાસ અને પેટ્રોલિંગ વધારી દેવાયું છે. દ્વારકામાં 23માંથી 21 ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

સુરક્ષા વધારવા મરીન પોલીસની સાથે LCB, SOG, મરીન કમાન્ડો અને હોમગાર્ડ જવાનોને પણ તૈનાત કરાયા છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના ગામો અને આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવે છે. ગુજરાતનો 1,600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો, જેમાં જામનગરનો વિશ્વનો સૌથી મોટો રિલાયન્સ રિફાઈનરી કોમ્પ્લેક્સ અને મુંદ્રા પોર્ટ જેવી મહત્ત્વની સુવિધાઓ આવેલી છે, તેને સુરક્ષિત રાખવા સાવચેતીના પગલાં લેવાયા છે. આ કાર્યવાહી પાકિસ્તાનની નજીકના દરિયાઈ માર્ગો દ્વારા સંભવિત ઘૂસણખોરીને રોકવા માટે અગત્યની છે. સુરક્ષા એજન્સીઓ કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલનમાં કામ કરી રહી છે, જેથી રાજ્યની સુરક્ષા ચુસ્ત રહે.

રાજ્યમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને ઘરભેગા કરાશે

અમદાવાદઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ અને ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોના વિઝા અંગે લેવાયેલા કડક નિર્ણયોને પગલે રાજ્યમાં ઉપસ્થિત પાકિસ્તાની નાગરિકો અંગેની વિગતો બહાર આવી છે. રાજ્યમાં વિવિધ વિઝા પર રહેલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

રાજ્યમાં લોંગ ટર્મ વિઝા ધરાવતા કુલ ૪૩૮ પાકિસ્તાની નાગરિકો છે. જ્યારે શોર્ટ ટર્મ વિઝા પર ગુજરાતમાં કુલ સાત પાકિસ્તાની નાગરિકો ઉપસ્થિત છે. શોર્ટ ટર્મ વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોના સ્થાનની વિગતોમાં  પાંચ નાગરિકો અમદાવાદમાં છે, જ્યારે ભરૂચ અને વડોદરામાં ૧-૧ નાગરિક છે.

લોંગ ટર્મ વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોમાં સૌથી વધુ સંખ્યા અમદાવાદમાં ૭૭ પાકિસ્તાની નાગરિકો છે. આ ઉપરાંત, સુરતમાં ૪૪ અને કચ્છમાં ૫૩ પાકિસ્તાની નાગરિકો છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ બાકીના લોંગ ટર્મ વિઝાધારકો ઉપસ્થિત હોવાની શક્યતા છે.

ગુજરાતમાં વિઝિટર વિઝા પર આવેલા કેટલાક પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવા નાગરિકોને અટારી બોર્ડર મારફતે પાકિસ્તાન પરત મોકલવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીના ભાગરૂપે, ભરૂચમાં શોર્ટ ટર્મ વિઝિટર વિઝા પર રોકાયેલા એક પાકિસ્તાની નાગરિક શહીદા બીબીને પણ ભરૂચથી અટારી બોર્ડરે મોકલી આપી પાકિસ્તાન પરત મોકલવામાં આવ્યા છે.

ગુજરાતમાં પાકિસ્તાની નાગરિકોની ઉપસ્થિતિ અંગેની આ વિગતો રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને કેન્દ્ર સરકારના નિર્દેશોનું પાલન કરવા માટે મહત્વપૂર્ણ છે. હાલના તણાવપૂર્ણ માહોલ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોની મુવમેન્ટ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને કેન્દ્ર સરકારના આદેશ મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાત સાયન્સ સિટીમાં વર્લ્ડ પેંગ્વિન ડેની ઉજવણી

આજે વર્લ્ડ પેંગ્વિન ડે નિમિત્તે ગુજરાત સાયન્સ સિટી ખાતે આનંદમય અને ઐતિહાસિક પ્રસંગ ઉજવાયો છે, જ્યાં એક અનોખી સિદ્ધિરૂપે ત્રણ આફ્રિકન પેંગ્વિનનું સફળ સંવર્ધન કરવામાં આવ્યું છે. આ સફળતા સાબિત કરે છે કે ગુજરાત સાયન્સ સિટી સંવર્ધન, જલજીવન જાળવણી અને પ્રજાજાગૃતિ માટે સતત પ્રતિબદ્ધ છે. આ ખાસ દિવસે, નવજાત પેંગ્વિનના બાળકોના નામ જાહેર કરાયા છે ઉલ્લેખનીય છે કે તેમના નામ ડેઝી, કીઆરા, અને બાલૂ રાખવામાં આવ્યું છે. જે સહજતા, પ્રેમ અને નિર્દોષતાનું પ્રતિબિંબ છે.

એક્વેટિક ગેલેરીની હસબન્ડ્રી ટીમ દ્વારા ઝીણવટપૂર્વક સંવર્ધન કરવામાં આવતાં 2024માં પ્રથમ વખત સફળતા હાંસલ થઈ, એક પેંગ્વિન જોડીએ જૂનમાં પ્રથમ ઇંડું મૂક્યું, જે 38 દિવસના ઉછેર પછી જુલાઈમાં નર બચ્ચું બહાર આવ્યું. ત્યારબાદ આ જોડીએ ઓક્ટોબરમાં બે ઇંડાંનો બીજો સમૂહ મૂક્યો, જે નવેમ્બરમાં બે માદા બચ્ચાં તરીકે બહાર આવ્યાં.

આ સફળતા ખાસ ડિઝાઇન કરેલા વિસ્તારને આભારી છે, જે કુદરતી નિવાસસ્થાન જેવું જ છે અને ગોપનીયતા, સુરક્ષા અને સંવર્ધન માટે શ્રેષ્ઠ પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરે છે. આ સુવિધામાં સંવર્ધન અને બચ્ચાંના ઉછેર દરમિયાન પેંગ્વિનની સંભાળ માટે વિશેષ આહાર અને સંવર્ધન કાર્યક્રમ પણ અમલમાં મૂકવામાં આવ્યો હતો.

આફ્રિકન પેંગ્વિન (Spheniscus demersus), જે નામિબિયા અને દક્ષિણ આફ્રિકાના દરિયા કિનારાઓનું વતની છે, હાલમાં આ પેંગ્વિન IUCN દ્વારા લુપ્તપ્રાય તરીકે સૂચિબદ્ધ છે. યોગ્ય જગ્યા, માછીમારી અને આબોહવા પરિવર્તનને કારણે આ પેંગ્વિનની સંખ્યામાં 97%થી વધુનો ઘટાડો થયો છે. હાલમાં દરિયા કિનારે 19,800થી ઓછા પેંગ્વિન બચ્યા છે. સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં બચ્ચાઓનો જન્મ આ પ્રજાતિના સંરક્ષણ તરફની આશાનું કિરણ અને નક્કર પગલું છે.

સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના કે. ખંધાર, IAS એ જણાવ્યું કે, “પેંગ્વિનના ત્રણ બચ્ચાઓનો જન્મ ગુજરાત માટે ગૌરવની વાત છે. આ આપણા પર્યાવરણ જાગૃતિ અને પ્રાણી કલ્યાણ માટેની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. ડેઝી, કીઆરા અને બાલૂને મળવા માટે આપ સૌને આમંત્રિત કરીએ છીએ — તેઓ જળ જીવનના સાચા દૂત છે.” અત્યારે પેંગ્વિન ગેલેરીમાં આ ત્રણ નવા પેંગ્વિનને રાખવામા આવ્યા છે, જેથી મુલાકાતીઓ નાનકડા પેંગ્વિન બચ્ચાઓને નજીકથી નિહાળી શકે.

LOC પર વધતા ટેન્શનથી રોકાણકારો ડૂબ્યા રૂ. 10 લાખ કરોડ

અમદાવાદઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધતા જિયો- પોલિટિકલ ટેન્શનને લીધે ઘરેલુ શેરબજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ટ્રેડિંગ સેશનના પ્રારંભિક બે કલાકમાં BSE લિસ્ટેડ કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપમાં રૂ. 10 લાખ કરોડનો ઘટાડો થયો હતો. નિફ્ટી IT સિવાય બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ ઘટીને બંધ આવ્યા હતા. નિફ્ટી મિડિયા અને નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકાથી વધુ ઘટ્યા હતા.

પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે ટેન્શન રોકાણકારોએ સાવચેતી રૂપે નફારૂપી વેચવાલી કાઢી હતી. જેથી એક તબક્કે સેન્સેક્સ 1100 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. જો ટ્રેડિંગ સેશનને અંતે વેચાણો કપાતાં સેન્સેક્સ સુધર્યું હતું. જેથી સેન્સેક્સ 589 પોઇન્ટ તૂટીને 79,212ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 207 પોઇન્ટ 24,039ના મથાળે બંધ થયો હતો.

શેરબજારોમાં PSU બેન્ક ઇન્ડેક્સ, નિફ્ટી એનર્જી, ફાર્મા, મેટલ અને ઓટો ઇન્ડેક્સમાં પણ બે ટકાથી ત્રણ ટકા તૂટ્યા હતા. નિફ્ટીમાં સૌથી મોટો ઘટાડો એક્સિસ બેન્કમાં થયો હતો. SBI, ભારતી એરટેલ, એલ એન્ડ ટી અને બજાજ ફાઇનન્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

BSE પર કુલ 4084 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 715 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 3248 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 121 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 58 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 40 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 183 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 311 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

ડાન્સરના મૃત્યુ બાદ રિતેશની ફિલ્મ ‘રાજા શિવાજી’નું શૂટિંગ બંધ

અભિનેતા રિતેશ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’ના શૂટિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાયા બાદ તેનું શૂટિંગ હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. ખરેખર, શૂટિંગ દરમિયાન કોરિયોગ્રાફી ટીમના એક સભ્યનું મૃત્યુ થયું હતું. આ દુઃખદ સમાચાર પછી આખી ટીમ આઘાતમાં છે. હવે ફિલ્મનું શૂટિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. મૃત્યુ પહેલાં ડાન્સર બે દિવસ પહેલા સતારામાં ગુમ થયો હતો.

સૌરભ નદીમાં વહી ગયો

મૃતક ડાન્સરની ઓળખ સૌરભ શર્મા તરીકે થઈ છે. તેમનો મૃતદેહ ગુરુવાર, 24 એપ્રિલે સવારે મળી આવ્યો હતો. આ ઘટના બે દિવસ પહેલા સતારા જિલ્લામાં કૃષ્ણા અને વેન્ના નદીઓના સંગમ પર સ્થિત સંગમ મહુલી ગામમાં બની હતી. રિતેશની ફિલ્મ ‘રાજા શિવાજી’નું શૂટિંગ અહીં થઈ રહ્યું હતું. મૃતદેહ મળ્યા બાદ સતારા પોલીસે હવે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

રિતેશ દેશમુખના પ્રોડક્શન હાઉસે એક નિવેદન બહાર પાડ્યું હતું

અગાઉ, રિતેશ દેશમુખના પ્રોડક્શન હાઉસ મુંબઈ ફિલ્મ કંપનીએ સૌરભ શર્માના ડૂબવાની દુ:ખદ ઘટના અંગે એક નિવેદન જારી કર્યું હતું. જોકે તેમણે તેમના મૃત્યુના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રિતેશ દેશમુખ, જેનેલિયા દેશમુખ, રેમો ડિસોઝા અને અન્ય ટીમના સભ્યોને સમાચાર મળતા જ નદી કિનારે દોડી ગયા હતા.

રિતેશ દેશમુખ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે

મરાઠી અને હિન્દીમાં બની રહેલી ફિલ્મ ‘રાજા શિવાજી’ મહાન મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત છે. તેનું દિગ્દર્શન રિતેશ દેશમુખ કરી રહ્યા છે, જે તેમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં ભાગ્યશ્રી પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.